સેન્ટ્રલ આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ગોમા શહેરમાં નરસંહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક સપ્તાહમાં આ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા 773 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક વધવાની ભીતિ છે. આ મોત પાછળનું કારણ બળવાખોરો દ્વારા થયેલો હુમલો છે.
કોંગોની સેનાની પાડોશી દેશ રવાંડા સમર્થિત બળવાખોરો (M23 જૂથ) સાથે થયેલી લડાઈમાં 773 લોકોના મોત થયા છે. આ બળવાખોરોએ એક દાયકાના સંઘર્ષમાં શહેર પર કબજો જમાવ્યો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના આરોગ્ય મંત્રાલયે 1 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, M23 બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ 30 જાન્યુઆરી સુધી 773 મૃતદેહ મળી આવ્યા હતા.
2880 લોકો ઘાયલઆ હુમલામાં 26 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે 2,880 લોકો ઘાયલ થયા હતાં. ગોમા એ ડીઆરસીના પૂર્વ ભાગમાં આવેલું સૌથી મોટું શહેર અને ઉત્તર કિવુ પ્રાંતની રાજધાની છે. આ શહેર સોના, કોલ્ટન અને ટીનની ખાણો માટે જાણીતું છે. આ અઠવાડિયે બળવાખોર જૂથ M23એ તેના પર કબજો કરી લીધો હતો.
શહેરમાં લોહીની નદીઓ
સ્થાનિક રહેવાસી જીન માર્કસે જણાવ્યું હતું કે, M23 એ પાણી અને વીજળી સહિતની મૂળભૂત સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું વચન પણ આપ્યું હતું. આવી સ્થિતિમાં, 1 ફેબ્રુઆરીએ, ગોમાના સેંકડો રહેવાસીઓ શહેરમાં પાછા ફરતા જોવા મળ્યા હતા. તેઓએ કાટમાળ અને લોહીથી લથબથ વિસ્તારોને સાફ કર્યા હતાં. માનવતાવાદી સંસ્થાઓ ગોમા શહેરમાં (ભારે લડાઈ વચ્ચે) રાહત કાર્ય કરી રહી છે. તેઓએ હોસ્પિટલોને મદદ કરી અને રાહત પૂરી પાડી છે. આ સંસ્થાઓને કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અને તેમના કર્મચારીઓને પણ અસર થઈ હતી.
M23ને રવાન્ડાનું સમર્થન
બળવાખોર જૂથ M23ના સશસ્ત્ર બળવાખોરો ઉત્તર કિવુ, ડીઆરસીમાં આતંક ફેલાવવાના નવા રસ્તાઓ શોધી કાઢ્યા છે. પાડોશી દેશ રવાન્ડા M23ને બળાત્કાર, હત્યા અને ત્રાસ જેવા ગુનાઓ માટે પૈસા, શસ્ત્રો અને પુરવઠો પૂરો પાડે છે. લગભગ 4,000 રવાન્ડાના સૈનિકોએ M23ને સમર્થન આપી રહ્યા છે.
કારણ?
બળવાખોર જૂથ ‘નેશનલ કોંગ્રેસ ફોર ધ ડિફેન્સ ઑફ ધ પીપલ’ (CNDP) અને કોંગો સરકાર વચ્ચે સમજૂતી થઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તેના સૈનિકોને ‘ફોર્સિસ આર્મીસ ડે લા રિપબ્લિક ડેમોક્રેટીક ડુ કોંગો’ (FARDC) માં સામેલ કરવામાં આવશે. સરળ ભાષામાં, FARDC એ કોંગોની સરકારી સેના છે. તે જ સમયે, સીએનડીપી રાજકીય પક્ષ બનવા માટે સંમત થઈ હતી. પરંતુ CNDP એ સ્વીકાર્યું કે સરકારે આ કરારની શરતોનો સંપૂર્ણ અમલ કર્યો નથી. અને આ કારણોસર 2012માં M23 ચળવળની રચના કરવામાં આવી હતી. આ જૂથે સરકાર સામે બળવો કર્યો. અને તે આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.