તાજેતરમાં સુરસાગર વિસ્તારમાં રસ્તા પર થતાં દબાણોને હટાવવા અને વાહનોની અવરજવર સરળ કરવા માટે પદ્માવતી શોપિંગ સેન્ટરની આગળના ભાગે જ પોલ ફીટ કરીને ફોર વ્હીલર્સ અને ભારે વાહનો માટેની અવરજવરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પણ આ રસ્તો બંધ થયા બાદ અહીં ફાયરબ્રિગેડના વાહનો પણ એન્ટ્રી લઇ શકશે નહીં. જો રખેને શોપિંગ સેન્ટરમાં આગનો બનાવ બને તો ફાયરબ્રિગેડ રાવપુરાથી નીકળીને ઘટના સ્થળે પહોંચે તો આ પોલથી આગળ જઇ શકે નહીં. આ બાબતને લઇને તરેહ તરેહની ચર્ચા ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટમાં જ થઇ રહી છે. કારણ કે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આ રસ્તાની સામેના ભાગમાં જ મોટાભાગની હોટેલ અને રેસ્તોરાં છે. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, ‘આ સ્થિતિમાં પાછળના ભાગેથી જ ફાયરબ્રિગેડને ઘૂસવું પડે અને આગ નજીક જઇને જ કાર્યવાહી કરવી પડે. જો રસ્તો બંધ ન હોય તો રસ્તા પરથી પણ પાણીનો મારો ચલાવી શકાય એમ છે.’ ઉલ્લેખનીય છે કે, જો કટોકટીની સ્થિતિમાં જો ફાયરબ્રિગેડને રોંગ સાઇડથી આવવું હોય તો ટ્રાફિક રોકવો પડે અથવા હાલના નિયત સ્થળેથી આગળના ભાગે જવા માટે એકથી દોઢ મિનિટનો સમય વધુ થાય તેવી સ્થિતિ છે.