વટવા નવાપુરા રેલવે ફાટક પાસે 108 એમ્બુલન્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ એમ્બુલન્સ દર્દીને લેવા જતી હતી ત્યારે આ ઘટના બની હતી. જો કે, એમ્બુલન્સના પાઈલટે સમય સૂચકતા વાપરી તાત્કાલિક બીજી એમ્બુલન્સને વર્ધી સોંપવા માટે બનાવેલી એપનું બટન દબાવી દીધું હતું અને ત્યારબાદ એમ્બુલન્સમાંથી ઉતરી ગયા હતા. જો કે, કોઈપણ જાનહાનિ થઈ ન હતી.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વટવા નવાપુરા રેલવે ફાટક નજીકથી 108 એમ્બુલન્સ પસાર થતી હતી ત્યારે કોઈ શોર્ટસર્કિટથી એન્જિનના ભાગે આગ લાગતા ડ્રાઈવરે તરત જ એમ્બુલન્સ અટકાવી દીધી હતી. ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલા એટેન્ડન્ટ તરત જ નીચે ઉતરી ગયા હતા.
આ અંગે 108ના સ્ટાફે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની ટીમ તરત જ સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અત્રે નોંધનીય છે કે, 108ની એમ્બુલન્સ દર્દીના કોલ પર તેને લેવા માટે જઈ રહી ત્યારે આ ઘટના બની હતી.