રાજુલામાં તા.૧ જૂનથી સાગરખેડૂઓનું દરિયાઇ વેકેશન રહેશે. તા.૧ જુનથી આગામી તા.૩૧ જુલાઈ સુધી ૬૧ દિવસ દરિયામાં માછીમારી પર પ્રતિબંધ જારી રહેશે.આ અંગે જાફરાબાદની મત્સ્યોદ્યોગ કચેરીએ પરિપત્ર બહાર પાડી જાણ કરી હતી. આ સમયગાળામાં સાગરખેડૂઓ પોતાના પરિવારમાં સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી વેકેશનનો સમય માણે છે.
ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે સાગરખેડૂઓ સમુદ્રના પેટાળમાંથી રાત દિવસ એક કરીને આંધી,તોફાન, વાયુ, પવન અને વરસાદી આફત કે પછી તોફાની આફતો સામે હિંમતભેર દરિયો ખેડી કિંમતી માછલીઓને મારી જીવન નિર્વાહ કરતા હોય છે. વર્ષ દરમિયાન સાગરખેડૂઓ દસ મહિના દરમિયાન ફિશિંગ મધદરિયે કરે છે. અંદાજીત એકથી બે મહિના સુધી ચોમાસાને ધ્યાને લઇ ફિશિંગ પર પ્રતિબંધ હોય છે. ચોમાસુ નજીક હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ સાગરખેડૂઓનું દરિયાઇ વેકેશન જાહેર કરાયું છે. મત્સ્યોદ્યોગ કચેરીએ બહાર પાડેલા પરીપત્રમાં ફિશિંગ બનના સમયગાળામાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. તેમજ માછીમારોના એસોસિયેશન અને આગેવાનોને દરિયાઇ વેકેશન બાબતે જાણ કરાઈ છે. ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુ પાલન અને ડેરી મંત્રાલય દ્વારા આધારિત પત્ર -૩ થી તેમજ વડી કચેરી ગાંધીનગર આધારિત પત્ર-૪ થી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર ( ઇન્ડિયન એસક્યુઝિવ ઈકોનોમિક ઝોન)માં પશ્ચિમ દરિયાકાંઠાના આંતરદેશીય તથા પ્રાદેશિક વિસ્તારમાં ૬૧ દિવસના સમયગાળા દરમિયાન માછીમારી પર પ્રતિબંધ જાહેર કરાયો છે. આગામી તા.૧ જુનથી ૩૧ જુલાઈ એટલે ૬૧ દિવસ સુધી ફિશિંગ પર પ્રતિબંધનો આદેશ કરાયો છે. જેને ધ્યાનમાં લઈ જિલ્લામાં તા. ૧ જૂનથી ૩૧ જુલાઈ સુધી તમામ યાંત્રિક હોડીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકાયો છે. જાફરાબાદ લાઇટ હાઉસ રોડ ઉપર આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા જણાવાયા મુજબ આગામી તા. ૧ જૂનથી માછીમારી પર પ્રતિબંધ મુકેલ હોય ઓનલાઇન સોફટવેરમાં ટોકન લઈ ગયેલ તથા આવનાર દિવસોમાં માછીમારી માટે જનાર તમામ બોટની કોટનની રિટર્ન એન્ટ્રી તા.૩૧ મે સુધીમાં ફરજિયાત કરી લેવાની રહેશે આ પ્રતિબંધમાંથી નોન – મોટરાઈઝડકાફટ( લાકડાની બિનયંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યાં છે. આ આદેશનો ભંગ કરનાર ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા ૨૦૦૩ ની કલમ ૬/૧( ટ) ના ભંગ બદલ કલમ-૨૧/૧(ચ) મુજબ દંડને પાત્ર ઠરશે.