મોરબીની સગીરા સાથે વર્ષ ૨૦૧૭માં થયેલા દુષ્કર્મના બનાવમાં મોરબીની કોર્ટે આરોપી અને ગુનામાં મદદગારી કરનાર મહિલા સહિત ત્રણ શખ્સને પાંચ વર્ષની સજા ફટાકારી છે. કોર્ટે આરોપીઓને ચાર લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
મોરબી શહેરી વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને વર્ષ ૨૦૧૭માં લલચાવી ફોસલાવી અપહરણ કરી ચોટીલા ખાતે લઈ જઈ એક શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં આરોપીને એક મહિલા સહિત અન્ય બે વ્યક્તીએ મદદગારી કરી હતી. આરોપીએ દુષ્કર્મ ગુજારી આ અંગે કોઈને જાણ કરશે તો સગીરા તેમજ તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે મોરબી એ-ડિવીઝન પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગેનો કેસ મોરબીની વિશેષ ન્યાયાધીશ (પોક્સો કેસ) અને અધિક સેશન્સ જજની કોર્ટમાં વર્ષ ૨૦૧૭માં દાખલ થયો હતો.
જેમાં ફરિયાદીના વકીલની દલીલો તેમજ દસ્તાવેજી અને મોખિક પુરાવાઓેને ધ્યાને લઈ મોરબી ફાસ્ટટ્રેક સ્પેશ્યલ કોર્ટ તેમજ પોક્સો કોટે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી કાંતિલાલ અવચરભાઈ ડાભી (રહે.કંડલા)ને તેમજ મદદગારી કરનાર જીવરાજભાઈ ધનજીભાઈ પરમાર (રહે.મોરબી) અને ભારતીબેન રામજીભાઈ હડીયલ (રહે.વાવડી રોડ, મોરબી)ને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને રૃા.૪ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.