મહેસાણાઃ ધરોઇ ડેમમાં 9 વર્ષ બાદ પાણીની સપાટી 15 ટકાથી નીચીએ પહોંચી ગઇ છે. કારણ કે, ઉપરવાસમાં અપૂરતા વરસાદના અભાવે ધરોઇ ડેમમાં પાણીની આવક લંબાઇ છે. 2010માં પાણીની આવક શરૂ થઇ ત્યારે માત્ર 12.11 ટકા પાણી હતું. અત્યારે ડેમમાં 14.14 ટકા પાણી છે. જ્યારે 2004માં ડેમમાં સૌથી વધુ જથ્થો 19.04 ટકા નોંધાયો હતો. 2018માં સૌથી વધુ જથ્થો 33.42 ટકા હતો. ચોમાસાને હજુ મહિનો જ થયો હોઇ સામાન્ય પ્રજા માટે આ વિષય ભલે ચિંતાનો નથી. પરંતુ નિષ્ણાતો માટે હવે જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ ચિંતામાં વધારો કરે છે.
ધરોઇમાં 30 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું પાણી
ધરોઇ ડેમમાં અત્યારે 14.14 ટકા પૈકી 6.29 ટકા પાણી ઉપયોગ લાયક બચ્યું છે. ન કરેને નારાયણ જો ડેમમાં પાણીની આવક ન થાય તો આગામી 30 સપ્ટેમ્બર પછી પીવાનું પાણી મળતું બંધ થાય તેવી સ્થિતિ છે. જો કે, બે મહિના પહેલા ધરોઇ વિભાગે પાણીની કટોકટીને પહોંચી વળવા રાજ્ય સરકાર પાસે નર્મદા ડેમમાંથી 1 હજાર એમસીએફટી પાણીની દરખાસ્ત માંગી છે. જો આ સ્થિતિ સર્જાશે તો સતત બીજા વર્ષે મહેસાણા અને સાબરકાંઠાના 177 ગામની 27815 હેક્ટર ખેતી લાયક જમીનને સિંચાઇનું પાણી નહી આપી શકાય.
30 જુલાઇ, 2004એ 11.58 ટકા પાણી હતું| છેલ્લા 15 વર્ષમાં ત્રીજી વખત એવું બન્યું છે કે, વરસાદી પાણીની આવકનો સમય લંબાયો છે. વર્ષ 2004ની 30 જુલાઇએ ડેમમાં 11.58 ટકા પાણી હતું, ત્યારે આવક શરૂ થઇ હતી. ચોમાસુ પૂરું થતાં સૌથી વધુ 19.04 ટકા જથ્થો નોંધાયો હતો. તેવી જ રીતે 2014ની 16 જુલાઇએ ડેમમાં 18.71 ટકા પાણી હતું, ત્યારે આવક શરૂ થઇ હતી. જોકે, ચોમાસુ પૂરું થતાં 70.76 ટકા જથ્થો નોંધાયો હતો.