સુરત. લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ લોકડાઉન 3 મે સુધી ચાલવાનું હોવાથી ત્યાં સુધી કામકાજ બંધ રહેવાનું હોવાથી સુરતમાં રહેતા કામદારો અકળાયા છે. વેડરોડ પર લુમ્સના કામદારો રસ્તા પર ઉતરી આવ્યા અને રાશનની માંગ કરી અને વતન મોકલી આપવા હોબાળો મચાવતાં પોલીસે મામલો થાળે પાડયો છે. સાથે જ ઉત્તરભારતીય કામદારોએ પોતાની હાલાકી જણાવતાં કહ્યું હતું કે, અહિં ભુખના કારણે હેરાન થઈ રહ્યા છીએ અને વતનમાં રહેતા પરિવારની પણ આ મહામારીમાં ચિંતા સતાવતી હોવાથી તેઓ વતનમાં જવા વલખા મારી રહ્યાં છે.અલગ અલગ વિસ્તારમાં કામદારો દ્વારા વતનમાં જવાની બે દિવસમાં ત્રીજી ઘટના સામે આવી છે.
ઘરમાં રાશનનો જથ્થો ખૂટ્યો
લોકડાઉનનો લીધે કારખાનાઓ બંધ છે. ઉત્તરભારતીય સમાજના અગ્રણી શશી દુબેએ જણાવ્યું કે, ઘરમાં સપ્તાહ ચાલે એટલુ જ રાશન છે.સરકારી અનાજ પણ મળતું નથી. રાશનની દુકાન પર રેશનકાર્ડ વગર અનાજ અપાતું નથી.રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ ગરીબો અનાજથી વંચિત રહ્યાં છે. પૂરતો જથ્થો નહીં હોવાથી અડધાથી વધુ લોકો અનાજથી વંચિત રહ્યાં છે. બીજી તરફ વતનમાં રહેતા પરિવારની પણ ચિંતા સતાવી રહી છે. જેથી તેઓ વતન જવા માટે સરકારને વિનંતી કરી રહ્યાં છે.