અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દુનિયામાં શરૂ કરેલી ટેરિફવોર વચ્ચે ભારત અને બ્રિટને મંગળવારે લાંબા સમયથી અટવાઈ પડેલો દ્વિપક્ષીય ઐતિહાસિક વેપાર કરાર કર્યો હોવાની જાહેરાત કરી છે, જેના પગલે વ્યાપક સ્તરે કામદારોની જરૂર પડે તેવા લેધર, ફૂટવેર અને કપડાંના ઉત્પાદનોની નિકાસ પરનો ટેક્સ દૂર થશે જ્યારે ભારતમાં બ્રિટિશ વ્હિસ્કી અને કાર સસ્તા થશે. આ કરારથી વર્ષ ૨૦૩૦ સુધીમાં બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો થઈને ૧૨૦ અબજ ડોલર થવાની શક્યતા છે. દુનિયાના પાંચમા અને છઠ્ઠા અર્થતંત્રો વચ્ચે ફેટીએ માટે લગભગ ત્રણ વર્ષથી વાટાઘાટો ચાલતી હતી. બંને દેશોએ ડબલ કન્ટ્રીબ્યુશન કરાર પણ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે ફોન પર વાત કરી હતી અને એફટીએની પ્રક્રિયા પૂરી થવાને દ્વિપક્ષીય વેપાર રણનીતિ ભાગીદારીમાં ઐતિહાસિક સિમાચિહ્ન ગણાવ્યું હતું.આ સાથે બંને દેશો વચ્ચે ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન નામનો કરાર પણ થયો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ ડીલથી વેપારમાં સરળતા રહેશે, રોકાણ વધશે, નોકરીઓ મળશે અને નવા વિચારોને પ્રોત્સાહન મળશે.
ભારત અને યુકે વચ્ચે થયેલા વેપાર સોદાનું લક્ષ્ય વર્ષ ૨૦૪૦ સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર ૨૫.૫ અબજ પાઉન્ડ સુધી વધારવાનો છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે આ સમજૂતીથી ૨૦૪૦ સુધીમાં બ્રિટનના જીડીપીમાં ૪.૮ અબજ પાઉન્ડનો વધારો થશે. દુનિયા ટ્રમ્પના ટેરિફવોરમાં સપડાઈ છે અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. આવા સમયે ભારતે બ્રિટન સાથે વેપાર કરાર કરવામાં સફળતા મેળવી છે. આ કરાર ત્રણ અલગ અલગ મુદ્દા પર છે. પહેલો એફટીએ, બીજો દ્વિપક્ષીય રોકાણ સંધી અને ત્રીજો સામાજિક સુરક્ષા સમજૂતી છે, જેને ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન એગ્રીમેન્ટ કહેવાય છે.
આ કરાર હેઠળ ભારત બ્રિટનના ઉત્પાદનો માટે પોતાના બજાર ખોલશે, જેમાં વ્હિસ્કી અને ઓટોમોબાઈલનો સમાવેશ થાય છે. એફટીએ માટે બંને દેશો વચ્ચે ૧૪ તબક્કાની વાતચીત થઈ હતી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ ૨૩માં ૨૦.૩૬ અબજ ડોલરથી વધીને નાણાકીય વર્ષ ૨૪માં ૨૧.૩૪ અબજ થઈ ગયો હતો. બંને દેશ આગામી ૧૦ વર્ષમાં તેમના દ્વિપક્ષીય ઉત્પાદનોના વેપારને વર્તમાન ૨૦ અબજ ડોલરથી બમણો કરવા માગે છે.
આ વેપાર કરાર હેઠળ ભારતથી બ્રિટનમાં નિકાસ થતા ૯૯ ટકા સામાનો પર ટેરિફ ઘટીને શૂન્ય થઈ જશે જ્યારે ભારતીય પ્રોફેશનલ્સ બ્રિટનની પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર વિના કામ કરવા માટે યુકેનો પ્રવાસ કરી શકશે. ભારતીય કપડાં, ઘરેણાં અને ઝવેરાત પરનો ટેક્સ ઘટશે. બીજીબાજુ ભારત બ્રિટનમાંથી આવતા વ્હિસ્કી અને જીન પરનો ટેરિફ હાલમાં ૧૫૦ ટકા છે તે ઘટાડીને ૭૫ ટકા કરી દેશે અને આ સોદાના ૧૦ વર્ષમાં વધુ ૪૦ ટકા ટેરિફ ઘટાડશે. આ સિવાય ઓટમોબાઈલમાં ક્વોટા હેઠળ વર્તમાન ૧૦૦ ટકા ટેરિફ ઘટાડીને ૧૦ ટકા સુધી કરી દેશે.
આ કરારથી ભારતમાંથી બ્રિટનમાં થતી નિકાસને પ્રોત્સાહન મળશે. અનેક વસ્તુઓ પરનો ટેરિફ ઘટશે અથવા સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. કપડા અને પરિધાન, જૂતા, જાજમ, સમુદ્રી ઉત્પાદનો, દ્રાક્ષ અને કેરી જેવા ઉત્પાદનો પર ટેરિફ ઘટશે. મીનરલ્સ, રસાયણો, પ્લાસ્ટિક, રબર, લાકડા, પેપર, ટેક્સટાઈલ, ગ્લાસ, સીરામિક, બેઝ મેટલ્સ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ મશીનરી, હથિયારો-દારૂગોળો, ટ્રાન્સપોર્ટ-ઓટો, ફર્નિચર, સ્પોર્ટ્સ ગૂડ્સ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા ભારતિય ઉત્પાદનો પર ટેરિફ શૂન્ય થઈ જશે. બ્રિટનના સ્કોચ વ્હિસ્કી ઉપરાંત ઈલેક્ટ્રિક વાહન, ચોકલેટ અને કન્ફેક્શનરી જેવા ઉત્પાદનોની ભારતમાં નિકાસ વધશે. આ સિવાય ફાર્માસ્યુટિકલ, ટેલિકોમ, કાયદા, નાણાકીય સેવાઓ, બેન્કિંગ અને વીમા જેવા ક્ષેત્રોમાં બ્રિટનની પહોંચ વધશે.