રણાસણ ગામની 28 વર્ષીય પરણીતાએ જમિયતપુરા નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કર્યો છે. પોલીસે લાશનો પોસ્ટ મોર્ટમ કરાવીને અકસ્માતે મોતની નોંધ કરી હતી. પરિણિતાના આપઘાત અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
ડભોડામાં રણજીતજી સોલંકીની દીકરી પલકબેનના લગ્ન 2009માં રણાસણ ગામના કલ્પેશજી ઠાકોર સાથે થયા હતા. 12 વર્ષના લગ્નજીવનમાં તેમને હાલ પાંચ અને અઢી વર્ષની બે દીકરો છે. રવિવારે સવારે સમયે પલકબેન પિયર જવાનું કહી સાસરીમાંથી નીકળી ગયા હતા જોકે તેઓ પોતાની બે દીકરીઓને ઘરે જ મુકીને ગયા હતા. જેને પગલે પતિ કલ્પેશજી ઠાકોર સાસરીમાં ફોન કરતાં પલકબેન પહોંચ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે તેઓએ શોધખોળ શરૂ કરી હતી.
બીજી તરફ પિયરપક્ષના લોકો પણ પરણિતાની શોધખોળ કરી રહ્યાં હતા. આ દરમિયાન જમિયતપુરા નર્મદા કેનાલમાંથી કોઈ મહિલાની લાશ મળી હોવાનું જાણવા મળતા પરિવાર ત્યાં પહોંચી ગયો હતો. જેમાં પલકબેનની લાશ જોઈને પરિવાર ભાગી પડ્યો હતો. ઘટનાને પગલે ઉવારસદ આઉટ પોસ્ટના જમાદાર રતનલાલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો પોસ્ટ મોર્ટમ કરાવીને અકસ્માતે મોતની નોંધ કરી હતી. પરણિતાના આપઘાત અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પિયરપક્ષ કે અન્ય કોઈ રીતે કોઈ બાબતના આક્ષેપો થયા હોવાનું પણ હાલ સામે આવ્યું નથી. ત્યારે હવે પોલીસ પરણિતાની અંતિમવિધિ બાદ પરિવારજનોની પૂછપરછ કરીને મોતનું કારણ જાણવા કવાયત કરશે.