ગાંધીનગર મહાનગરપાલિકામાં સતત વધતા કેસો વચ્ચે યોજાઇ રહેલી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે સ્ટ્રેટેજી બદલવી પડી છે. ચૂંટણીના પ્રચારમાં જાહેર સભાઓ નહીં યોજવાનો નિર્ણય ભાજપે કર્યો છે. સોશિયલ મિડીયા મારફતે પ્રચારનો મારો ચલાવવા કાર્યકરોને તૈયાર કરવામાં આવ્યા છે. તમામ ઉમેદવારોને પણ સોશિયલ મિડીયાનો વ્યાપક ઉપયોગ કરવા અને તેમના સંપર્કો થકી પણ પ્રચાર કરવા તાલિમ અપાઇ રહી છે.
ભાજપના સૂત્રોએ કહ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે હજાર બે હજાર લોકોને એકત્ર કરીને યોજાતી જાહેર સભાઓ આ વખતે નહીં યોજવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને કારણે હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરવા યોગ્ય નહી હોવાનું ભાજપના નેતાઓને સમજાયુ છે. આ રીતે ભાજપ લોકોની ટીકાથી પણ બચવા માંગે છે. જેથી શક્ય હશે ત્યાં સુધી જાહેર સભાઓ નહીં થાય. હાલ પ્રભારી નેતાઓ રોજેરોજ કાર્યકર્તા સંમેલન યોજી રહ્યા છે.
ભાજપની પ્રચાર રણનીતિ મુજબ સૌપ્રથમ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. ત્યારબાદ સોસાયટીઓમાં ગૃપ મીટીંગોનો દોર ચાલશે. જ્યાં જરૂર લાગશે ત્યાં પ્રદેશ નેતાઓ પણ ગૃપ બેઠકોમાં જોડાશે. તે પછી છેલ્લા 48 કલાકમાં ફરી ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવશે. પેજ પ્રમુખોને પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સાથે બુથ લેવલના કાર્યકરોને મતદારોનો સંપર્ક થઇ જાય તેની તકેદારી રાખવા કહેવાયું છે. ભાજપ સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરશે. ખાસ સોફ્ટવેર મારફતે તમામ મતદારોનો ડેટાબેઝ તૈયાર કરી તેમના સુધી સોશિયલ મિડીયા દ્વારા પ્રચાર કરવા આઇટી ટીમ કામે લાગી છે.
સૌથી વધુ ભાર કાર્યકરોના ખભા ઉપર
ચૂંટણીમાં સૌથી વધુ ભાર કાર્યકરોના ખભા ઉપર છે. મોટા નેતાઓ જાહેર સભાઓ સંબોધવાના નહીં હોવાથી ઘરે ઘરે પહોંચવાની અને મતદારોનો સંપર્ક કરવાની મૂળભૂત જવાબદારી કાર્યકરોને સોંપવામાં આવી છે. પ્રભારી નેતાઓ રોજેરોજ કાર્યકરો સાથે બેઠક યોજી તેમની પાસેથી વિગતો મેળવશે અને તે પ્રમાણે સોગઠા ગોઠવશે.
સ્થાનિક નેતાઓને વોર્ડ દીઠ જવાબદારી સોંપાશે
ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને પ્રચારમાં આગળ કરાશે. ટિકીટ કપાતા નારાજ થયેલા નેતાઓને પણ પ્રદેશ કારોબારીમાં સમાવેશ કરીને મનાવવાનો પ્રયાસ કરાયો છે હવે તેમને ચૂંટણી પ્રચાર માટે જવાબદારી સોંપાશે. સ્થાનિક નેતાઓને તેમની ક્યા સમાજ, વિસ્તાર ઉપર પકડ છે તેની દ્રષ્ટિએ વોર્ડ સોંપવામાં આવશે. એક નેતાને એક વોર્ડની જવાબદારી સોંપવામાં આવશે.