દેશભરમાં કોરોનાના કહેરની બીજી લહેર શરૂ થતાની સાથે જ વડાપ્રધાન મોદીએ દેશના મુખ્યમંત્રીઓને ગામડાઓને સુરક્ષિત રાખવા અપીલ કરી હતી,પરંતુ ગુજરાત સરકારે વડાપ્રધાનની આ અપીલને અવગણીને પોતાની રીતે જ આડેધડ નિર્ણયો લેતા રાજ્યના છેવાડાના ગામડાઓ સુધી કોરોના ફરી વળ્યો છે, ગુજરાતના શહેરોની સાથે ગામે ગામ કોરોનાની બીજી લહેર પહોંચી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. મેડિકલની વ્યવસ્થાના અભાવે ગામડાના દર્દીને સારવાર માટે શહેરોમાં આવવું પડી રહ્યું છે. જયારે શહેરોમાં પણ હોસ્પિટલના બેડ થી માંડીને ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાતા ગામડામાંથી આવતા દર્દીઓ ની સ્થિતિ કફોડી બની રહી છે.
કોરોનાના કેસો વધતાં ગામડાઓમાં સ્વયંભૂ લૉકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ ભય વ્યક્ત કરીને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને તાકીદ કરી હતી કે કોરોના સંક્રમણ ગામડામાં ફેલાશે તો બહુ મોટી મુશ્કેલી થશે. તેથી પ્રત્યેક રાજ્ય સરકારોએ ગામડાને સુરક્ષિત રાખવાની જરૂર છે. વડાપ્રધાનના આ ભયને ગંભીરતાથી લેવામાં ના આવતા આજના દિવસે આ ભય સાચો પડી રહ્યો છે. આજે ગુજરાતના ગામે ગામ કોરોના સંક્રમણ વધતું જાય છે.જેના કારણે ગ્રામ્યજનો સરકારની રાહ જોયા વિના સ્વયંભૂ લોકડાઉન થી માંડીને સલામતી અને સારવારની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.
શહેરીજનોએ ગ્રામીણ વિસ્તારમાં સ્થળાંતર શરૂ કર્યું
ગુજરાતમાં એવા 500 ગામડાં છે કે જ્યાં સરપંચોએ ખુદ લોકડાઉન કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાના પ્રયાસ શરૂ કર્યાં છે. ગુજરાતમાં સ્વૈચ્છિક લોકડાઉન કરનારા ગામડાઓની સંખ્યા વધતી જાય છે. સંક્રમણની ચેઇન તોડવાનો આ પ્રયાસ છે.ગુજરાતમાં બીજી મહત્વની સ્થિતિ એવી સર્જાઇ છે કે શહેરોમાં વધતા જતા કોરોના સંક્રમણથી બચવા માટે શહેરમાં રહેતા પરિવારોએ ગ્રામીણ વિસ્તારમાં સ્થળાંતર શરૂ કર્યું છે, તેનાથી પણ ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ વધ્યું છે. થોડાં મહિનાઓ પહેલાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે શહેરોનું ગ્રામ્ય વિસ્તાર તરફનું સ્થળાંતર અટકાવવું જોઇએ. પરંતુ ગભરાયેલા પરિવારોએ વતનના ગામડામાં દોટ મૂકી છે.
ગ્રામ્ય વિસ્તારમાં પુરતી આરોગ્ય સુવિધા હોતી નથી
ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ શરૂ થાય એટલે વધુને વધુ કેસ અને મૃત્યુના આંકડા વધી શકે છે, કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં પુરતી આરોગ્ય સુવિધા હોતી નથી. ગામડામાંથી શહેરમાં દર્દીને લાવવા માટે મુશ્કેલી ઉભી થાય છે, કારણ કે શહેરોની હોસ્પિટલ શહેરના દર્દીઓથી ઉભરાઇ રહી છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારૂં ગામકોરોના મુક્ત ગામ નામનું અભિયાન 1લી મે થી શરૂ કર્યું છે.પરંતુ ગામડા ની જનતા સ્વયંભૂ વ્યવસ્થા કરી રહ્યા છે.
ગામોમાં આઇસોલેશન સેન્ટર ઉભુ કરવા આદેશ
સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારની સાથે સાથે આ વખતે ગ્રામ્યવિસ્તારમાં પણ કોરોનાનો ચેપ ખુબ જ ઝડપથી ફેલાયો છે એટલુ જ નહીં, ગ્રામ્યવિસ્તારમાં કેસનો ગ્રાફ સતત ઉંચો રહેવા લાગતા અંતે ઘોડો નાસી ગયા પછી તબેલા ને તાલા મારવા નીકળેલા મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા કેટલીક સુચનાઓ આપી હતી. જેને પગલે હવે દરેક જિલ્લાના દરેક ગામોમાં આઇસોલેશન સેન્ટર ઉભુ કરવા માટે જિલ્લાકક્ષાએથી ગ્રામ પંચાયતોને આદેશ આપવામાં આવ્યા છે.
બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ફેલાયો
જેમાં ગામના પોઝિટિવ દર્દીઓને રાખીને ચેપ ફેલાતો અટકાવવાના પગલાં ભરવા માટે તલાટી-સરપંચને કરવા આદેશ કર્યા હતા. કોરોનાની આ લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ સંખ્યાબંધ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. વાયરસની અજ્ઞાનતા અને સ્થાનિક કક્ષાની બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ખુબ જ ફેલાયો છે. એટલું જ નહીં ગામડાઓમાં આ કોરોના શહેર કરતાં વધુ જીવલેણ થઇ રહ્યો છે.