પણજીઃ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શનિવારે મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 10માંથી ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબો પણ મંત્રીમંડળમાં સામેલ થયા છે. અગાઉ સાવંતે ગોવા ફોર્વર્ડ પાર્ટી(જીપીપી)ના ત્રણ ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યને મંત્રી પદ પરથી હટાવ્યા હતા.
સાવંતે શુક્રવારે જ આ ધારાસભ્યોને મંત્રી પદ છોડવા માટે કહ્યું હતું. જોકે જીપીપીનું કહેવું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત વગર તેમના મંત્રી રાજીનામુ આપશે નહિ. બાદમાં મુખ્યમંત્રી સાવંતે ઉપ-મુખ્યમંત્રી વિજય સરદેસાઈ, વિનોદ પાલીનકર, જયેશ સલગાંવકર(જીપીપી) અને રોહન ખાટી(અપક્ષ ધારાસભ્ય)ને મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા
મુખ્યમંત્રી સાવંત બુધવારે કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોને લઈને દિલ્હી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ તમામ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા. તેમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા ચંદ્રાકાંત કાવલેકર, જેનિફર મોન્સેરાતે, ફિલિપ નેરી રોડિગ્સને શનિવારે મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાત કરીને ભાજપને સમર્થન આપ્યું હતુંઃ જીપીપી
મંત્રીમંડળમાંથી રાજીનામું માંગવાને લઈને જીપીપીના મંત્રીઓએ કહ્યું હતું કે અમે એનડીએનો હિસ્સો છે અને ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાત કરીને રાજયમાં ભાજપને સમર્થન આપ્યું હતું. તેમાં રાજય ભાજપના હાલના નેતૃત્વ સાથે કોઈ વાતચીત થઈ નથી. અમે એનડીએ નેતાઓ સાથે વાતચીત બાદ જ અગામી પગલું ઉઠાવીશું. અત્યાર સુધીમાં અમને ત્યાંથી કોઈ મેસેજ મળ્યો નથી