ગોધરાઃ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019માં નેતાઓ દ્વારા ચૂંટણીફંડ પેટે 95 લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે ખુલાસો કરવા માટે ગોધરાના બોરવેલના વેપારી બુરહાન એહમદ ડોડીયાએ વ્યાજખોરના માનસિક ત્રાસથી કટાળીને આત્મહત્યા કરવા જવું છું, તેવું કહેતી ઓડિયો ક્લિપ અને સ્યૂસાઈડ નોટવાયરલ કરી છે. જો કે ગુરૂવારે ગુમ થયેલા આ વેપારીને આજે સવારે પોલીસે ઝડપી લીધો હતો.
જિલ્લાના મોટા નેતાઓએ પૈસા લીધા હોવાનો ઉલ્લેખ
વેપારીની વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં જિલ્લાના મોટા નેતાઓ લોકસભા ચૂંટણીમાં મારી પાસેથી 45 લાખ અને 50 લાખ લીધા હતા. પંચમહાલ, મહિસાગર તથા દાહોદમાં આપના માણસો છે. તેને સરકારી કામ અપાવીશું કામના 5 ટકા કમિશન આપ્યું છે તે અત્યારે આપી દે તેમ કહીને નેતાએ મારી પાસેથી 95 લાખ રૂપિયા લીધા છે. આ પોલિટીશિયનનું નામ લેતો નથી, કારણકે તેનાથી મારી ફેમિલી મુશ્કેલીમાં આવી શકે છે.
ધંધામાં નુકસાન થતાં 3 કરોડનું દેવું થયું
ગોધરાના કડીયાવાડ વિસ્તાર પાસે રહેતાં બુરહાન એહમદ ડોડીયા બોરવેલનો ધંધો કરતાં હતા. સાથે સાથે સરકારી કોન્ટ્રાક્ટ લઇને સરકારી કામ પણ કરતાં હતા. તેઓને સરકારી કોન્ટ્રાક્ટ મળતાં વધુ નાણાંની જરુર પડતી હોવાથી લોકો પાસેથી વ્યાજે નાણાં લેતા હતા. પરંતુ ધંધામાં નુકસાન થતાં અને સરકારી કોન્ટ્રાકટના પૈસા ન આવતાં વ્યાજે લીધેલા નાણાં ચૂકવી શકાતા ન હતા. આશરે રૂ. 3 કરોડ જેવી રકમ ન ચૂકવાતાં વ્યાજખોરોએ કડક ઉઘરાણી ચાલુ કરી હતી.
પત્ની અને બે દિકરીઓ વ્યાજખોરોના ત્રાસથી વડોદરા જતાં રહ્યા
વેપારી બુરહાની ડોડીયા વ્યાજખોરોને ઉંચું વ્યાજ ચૂકવતા હતા. ત્યાર બાદ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જવાને કારણે બુરહાની ડોડીયા નાણાં પાછા આપી શક્યો ન હતો. વ્યાજખોરો ઉઘરાણી કરવા ઘરે આવતાં હોવાથી બુરહાનીની પત્ની અને બે દિકરીઓ વ્યાજખોરોના ત્રાસથી વડોદરા જતાં રહ્યા હતા. જયારે વ્યાજખોરોએ બોર ગાડીઓ તથા અન્ય વાહનો પર કબજો જમાવી દીધો હતો. વ્યાજખોરોના ત્રાસ અસહ્ય થતાં બોરવેલ વેપારી બુરહાની ડોડીયાએ કટાંળીને આત્મહત્યા કરવાનું પગલું ભરવા જઈ રહ્યો હોવાની ઓડિયો ક્લિપ અને સ્યૂસાઇડનોટ વાયરલ કરી હતી.
પોતાના પતિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાની ઓડિયો ક્લિપ પત્નીને મળતાં તેણીએ વડોદરાથી ગોધરા આવીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની રજૂઆત ગોધરાના બી.ડીવીઝન પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી