અમદાવાદ. રાજ્ય સરકારના આદેશ પછી જીટીયુએ 25મી જૂનથી શરૂ થતી બીઈ સેમેસ્ટર-8 સહિતની વિવિધ 39 કોર્સની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા કે પોઝિટિવ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં.આ વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા લેવામાં આવશે, જેની તારીખ પછીથી વેબસાઈટ પર મૂકવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત
જીટીયુની અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં આવેલી 486 કોલેજોના 400 કેન્દ્રો આશરે 1.10 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સરકારના આદેશ મુજબ તમામ પ્રકારના તકેદારીના પગલા ભરવાની સૂચના જીટીયુ તરફથી પરીક્ષા કેન્દ્રોને અપાઈ છે. જેમાં કોઈ પણ વિદ્યાર્થી કે કર્મચારીને માસ્ક પહેર્યા વિના પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ નહીં અપાય. દરેક પરીક્ષા રૂમ બહાર સેનિટાઈઝર મૂકવાનું રહેશે.
જીટીયુ સાથે સંકળાયેલી વિવિધ ઈન્સ્ટિટ્યૂટ તથા હોસ્ટેલને સેનિટાઈઝ કરવાની રહેશે. સરકારના આદેશ મુજબ માસ્ક, સેનિટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે.
વિદ્યાર્થીઓને સેન્ટર પસંદ કરવા માટેની તક અપાશે. વિદ્યાર્થી પોતાની સંસ્થામાં અથવા તો પોતાનંુ નિવાસસ્થાન હોય તેવા જિલ્લાના સ્થળે એકઝામ સેન્ટરની પસંદગી કરી શકશે. પંસદગીના પોતાના જિલ્લાના એક્ઝામ સેન્ટરની એકવાર પસંદગી કર્યા પછીથી યુનિવર્સિટી તરફથી એક્ઝામ સેન્ટરની ફાળવણી થશે, તે પછીથી એક્ઝામ સેન્ટરમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં.