ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે બે કલાકમાં અંદાજિત 10 થી 12 ટકા મતદાન થયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
આ દરમિયાન ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે કથાકાર મોરારીબાપુએ મતદાન કર્યું હતું. જે બાદ તેમણે લોકશાહીના મહાપર્વ પર તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી જણાવ્યું, લોકતંત્રને મજબૂત કરવા માટે મતદાન ફરજિયાત કરવું જોઈએ.
સુરતની કતારગામ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ. મતદાન કર્યાનો ફોટો ટ્વિટર પર મૂકી તેમણે લખ્યું, તમારા એક મતથી પેપર ફૂટવાની ઘટના બંધ થશે, તમારા મતથી તમારું ભાગ્ય બદલશે. મતદાન અવશ્ય કરો. જય હિન્દ.