ગુજરાતની રૂપાણી સરકારે હવે નર્મદાના પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના ભાવમાં વધારો કરી રહી છે. જેમાં માર્ચ 2021 થી પીવાના પાણીમાં 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં રૂ. 3.13નો વધારો થશે. ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતાં ગ્રાહકોને વધારે દર ચૂકવવા પડી શકે છે. નર્મદાનું પાણી પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે. હાલ માર્ચ 2021 સુધી નર્મદા નિગમે પીવા માટેના દર પ્રતિ 1000 લિટરે 3.80 રૂપિયા રાખ્યા છે, જ્યારે ઔદ્યોગિક વપરાશ માટેના દર પ્રતિ 1000 લિટરે 31.38 રૂપિયા રાખ્યા છે.
માર્ચ 2021 પછી પાણીના દરમાં વધારો થશે
માર્ચ 2021 પછી પીવા માટેના પાણીના દરમાં 38 પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 3.13 રૂપિયાનો વધારો થશે. બન્ને પાણીના વપરાશના દરમાં નવા નાણાકીય વર્ષમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં 2006-07ના વર્ષમાં જ્યારે પ્રથમ વખત દરો નિયત કરવામાં આવ્યા હતા ત્યારે પીવાના પાણી માટે એક રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા.
પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે
2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયા હતા. નર્મદા નિગમનાં સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણીપુરવઠા વિભાગ અને તેને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે. ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતો નથી.