- Advertisement -
હળવદ : કહેવાય છે કે, એક શિક્ષક કભી સાધારણ નહિ હોતા. શિક્ષક હયાત હોય ત્યારે શિક્ષણ મૂલ્યોનું જતન કરવા માટે જીવનપર્યંત સંઘર્ષ કરતો રહે છે અને મૃત્યુ પછી પણ તેમના સતકર્મોની સુવાસ સમાજમાં ફેલાતી રહે છે. આવા જ હળવદના એક યુવા શિક્ષકના સતકર્મોની સુવાસ સમાજમાં ફેલાઈ છે. જેમાં આ શિક્ષકનું અકસ્માતમાં બ્રેઇન ડેડ થયા બાદ તેમના પરિવારજનોએ પુત્રની બંને કિડનીનું દાન કર્યું હતું. આ દિવંગત શિક્ષકની બે કિડનીથી બે જીદગીને નવજીવન મળ્યું છે.
હળવદમાં રહેતા અને હળવદ તાલુકાના રાયસંગપર ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રજનીકાંતભાઈ સીણોજીયા ભલે આજે સદેહ હયાત ન હોય પણ એમણે શિક્ષણના મૂલ્યો જીવંત રાખવા કરેલો સંઘર્ષ અને મિલનસાર સ્વભાવ હળવદ પંથકમાં કાયમ જળવાઈ રહેશે. આ યુવાનની જિંદગી ભલે અલ્પ હતી પણ યુવાન વયની નાની ઉંમરમાં પણ એક આર્દશ જીવન જીવી ગયા છે.દરરોજ સ્કૂલે જઈને બાળકોને શિક્ષણ સંસ્કાર આપવા ફુરસદની પળો પરિવાર અને મિત્રો અને સ્નેહીજનો સાથે ગાળવી એ એમનો નિત્યક્રમ હતો.
આ શિક્ષકના પ્રેમાળ સ્વભાવના કારણે સીણોજીયા પરિવાર હર્ષોલ્લાસથી હર્યો ભર્યો હતો.એવામાં કુદરત જાણે રૂઠી હોય તેમ સીણોજીયા પરિવાર પર અણધારી આફત આવી હતી.જેમાં થોડા દિવસો પહેલા શિક્ષક રજનીકાંતભાઈને ગંભીર અકસ્માત નડ્યો હતો. તેમનું બાઇક સ્લીપ થતા તેમને ગંભીર ઇજાઓ થવાથી તત્કાળ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને રજનીકાંતભાઈ બ્રેઇન ડેડ થયાનું તબીબોએ જાહેર કરતા સીણોજીયા પરિવાર આઘાતથી સ્તબ્ધ થઈ ગયો હતો.પુત્ર હવે હયાત નથી એ આઘાત કેમેય કરીને જીરવી શકાય એવો ન હતો.પણ પરિવારે પુત્રના સતકર્મોને નજર સમક્ષ રાખી કાળજે પથ્થર મૂકીને પુત્રના અંગદાન થકી બે જંદગીને નવું જીવન મળે તે માટે તેમના પુત્રની બે કિડનીનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.પુત્ર ભલે હયાત ન હોય પણ તેના અંગદાનથી બીજામાં ધબકતો રહેશે એ આશયથી શિક્ષક પુત્રની બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. આમ દિવંગત રજનીકાંતભાઈનો જીવન દિપક બુજાતા પહેલા બે જિંદગીને નવ જીવન આપી ગયો છે. આમ આ યુવાન શિક્ષક બે જિંદગીમાં અમર થઈ ગયા છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી