ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20 મેચમાં સોફ્ટ સિગ્નલનો ભારે વિવાદ સર્જાયો હતો. થર્ડ અમ્પાયરે સૂર્યકુમાર યાદવને કેચ આઉટ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે હંગામો સર્જાયો હતો. આ બધાની વચ્ચે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર સૂર્યકુમાર યાદવની વાઈફ દેવીશા શેટ્ટીને ટ્રોલ કરી હતી.
નતાશાએ તેના સોશિયલ મીડિયાના સ્ટોરી પેજ પર સૂર્યકુમાર યાદવની પત્ની દેવીશાની તસવીર શેર કરી હતી, જેમાં દેવીશા દૂરબીન સાથે સ્ટેડિયમને જોઈ રહેલી નજરે પડતી હતી. નતાશાએ આ ફોટો સાથે લખ્યું હતું કે દેવીશા શેટ્ટી થર્ડ અમ્પાયરને શોધી રહી છે.
અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં દેવીશા નજરે પડી રહી છે. આ તસવીરને નતાશાએ પોસ્ટ કરી હતી.
વાસ્તવમાં શું થયું હતું
વાસ્તવમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી T20માં સૂર્યકુમારે યાદવ 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. મેચની 14મી ઓવરમાં તે કેચ આઉટ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. સૈમ કરનની બોલિંગમાં સૂર્યકુમાર યાદવે ફટકારેલા શૉટને ડેવિડ મલાને બાઉન્ડરી પર કેચ કર્યો હતો. કેચ શંકાસ્પદ જણાતાં થર્ડ અમ્પાયર પાસે રિવ્યૂ લેવાયો હતો, જેમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું હતું કે બોલ મેદાનને અડી રહ્યો છે. થર્ડ અમ્પાયરે પણ આ કેચને લાંબા સમય સુધી રિવ્યૂ કર્યો હતો, પરંતુ તેને સોફ્ટ સિગ્નલ જણાતાં આખરે આઉટ આપ્યો હતો.
14મી ઓવર ડેવિડ મલાને પકડેલો સૂર્યકુમારનો કેચ ચર્ચાનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો ભડક્યા હતા.
જાણો શું હોય છે સોફ્ટ સિગ્નલ?
મેચ દરમિયાન કોઈ ફિલ્ડર એવો કેચ પકડે છે કે જેમાં એ વાત સ્પષ્ટ નથી થતી કે તેણે આ કેચ સફાઈથી લીધો છે કે નહીં. એવામાં ગ્રાઉન્ડ-અમ્પાયર એ કેચ અંગે ત્રીજા અમ્પાયરને તપાસ કરવાનું કહે છે. જોકે ત્રીજા અમ્પાયરની પહેલાં ગ્રાઉન્ડ-અમ્પાયરને મેદાન પર હાજર પોતાના સાથી અમ્પાયરથી વાતચીત કરીને નિર્ણય લેવાનો હોય છે. ક્રિકેટની ભાષામાં એને સોફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે. એ બાદ ત્રીજો અમ્પાયર મોનિટર પર એને અનેક એન્ગલથી જુએ છે. આ દરમિયાન તેને આઉટ આપવાના પર્યાપ્ત પુરાવા મળે છે તો તે બેટ્સમેનને આઉટ કરાર જાહેર કરાય છે, પરંતુ ક્યારેક-ક્યારેક એવું થાય છે કે ટીવી-અમ્પાયરને પર્યાપ્ત પુરાવા નથી મળતા. આવી સ્થિતિમાં ત્રીજો અમ્પાયર ગ્રાઉન્ડ-અમ્પાયરના નિર્ણયને યોગ્ય માને છે.
સૂર્યકુમાર યાદવના મામલે પણ આવું જ થયું. ડેવિડ મલાને તેનો કેચ સફાઈથી પકડ્યો હતો કે નહીં એ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી, તેથી ગ્રાઉન્ડ-અમ્પાયરે ત્રીજા અમ્પાયર પાસેથી મદદ માગી. ગ્રાઉન્ડ-અમ્પાયરે પોતાના સાથી અમ્પાયર સાથે વાત કરી અને સોફ્ટ સિગ્નલ અંતર્ગત સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો. એ બાદ ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ એ કેચને અનેક એન્ગલથી જોયો, પરંતુ તેને કોઈ જ પૂરતા પુરાવા ન મળ્યા. અમ્પાયર વીરેન્દ્ર શર્માએ મેદાન પરના અમ્પાયરના નિર્ણયને યથાવત્ રાખતાં સૂર્યકુમાર યાદવને આઉટ જાહેર કર્યો.