હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા ચાર પાંચ દિવસ છુટાછવાયો વરસાદ પડ્યો હતો. જો કે લોકો ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીને લીધે પરેશાન થઈ ગયા હતા. આજે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક થતાં શહેરીજનોને રાહત મળી છે. અમદાવાદની સાથે સુરત, અમરેલી, જાફરાબાદ, જામનગર, ખેડા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હજુ આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 32 મી.મી.(દોઢ ઇંચ) જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તા પર પાણી ભરાયા છે અને ટ્રાફીક જામના દ્વશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદના લીધે વાહન ચાલકો મુશ્ક્લીમાં મુકાયા હતા. વહેલી સવારથી મેઘ મહેર થતાં ઓફિસે જવા નિકળેલા લોકો અટવાઇ ગયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે. જાફરાબાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતાં ચોતરફ પાણી ભરાય ગયા છે. અડધા કલાકમાં બજારમાં પાણી વહેણ વહેતા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
યલો એલર્ટ જાહેર
તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.