રાજકોટ:ટ્રાફિક અને આરટીઓનાં નવા નિયમો સામે કોંગ્રેસે ત્રણ દિવસનાં ધરણાંની મંજૂરી માંગી હતી. પરંતુ મંજૂરી ન હોવા છતાં કોંગ્રેસે ધરણાં કરતાં પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કોંગી કાર્યકરો અને જંક્શનના વેપારીઓ સહિત 50થી વધુ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતની આગેવાની હેઠળ હેડકવાર્ટર ખાતે ધરણાં તથા ઉપવાસ કાર્યક્રમમાં તમામ કાર્યકરો જોડાયા છે. આ કાર્યકરોએ હેડ ક્વાર્ટરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ જંકશનનાં વેપારીઓએ અડધા દિવસનો બંધ રાખી વિરોધ કર્યો છે.
નવા કાયદાથી સામાન્ય લોકોને મોટી મુશ્કેલી-ડાંગર
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને પૂર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારત સરકારના પરિવહન વિભાગના નવા કાયદાથી સામાન્ય લોકોને મોટી મુશ્કેલી થઇ છે. જેના પગલે 18થી 20 સપ્ટેમ્બરના સવારે 10થી 2 કલાક સુધી પ્રતીક ઉપવાસ અને ધરણાં માટે પોલીસ પાસે જિલ્લા પંચાયત ચોકમાં મંજૂરી માંગી હતી, પરંતુ નાયબ પોલીસ કમિશનર ઝોન-1 રવિ મોહન સૈનીએ કોંગ્રેસની અરજી નામંજૂર કરી હોવાનું મંગળવારે સાંજે લેખિતમાં જાણ કરી છે.
નવા ટ્રાફિક નિયમના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યો
જંક્શન પ્લોટ અને ગાયકવાડી પ્લોટ વિસ્તારના વેપારી મંડળે આજે અડધા દિવસનો બંધ પાળ્યો છે. વેપારી મંડળના પ્રમુખ જયકિશન આહુજા અને મંત્રી ગૌરવ પૂજારાએ જણાવ્યું હતું કે, હેલ્મેટ ફક્ત હાઈ વે પર જ ફરજિયાત હોવા જોઇએ શહેરની અંદર તેની કોઇ જરૂરિયાત નથી. આ ઉપરાંત ટુ વ્હિલર પર બાળકોને પણ ત્રીજી સવારી ગણે છે તો પછી લોકો બાળકોને કોના ઘરે મૂકે? દરેક માતા-પિતાને સંતાન વ્હાલા જ હોય છે તેઓ વાહન પર પૂરી સંભાળ રાખે જ છે. જંક્શનના વેપારીઓએ બંધ પાળતાં પોલીસે જંક્શનના વેપારીઓની પણ અટકાયત કરી છે.
વકીલોની ચીમકી, હેલ્મેટ પહેરવામાં મુક્તિ આપો, નહીંતર જેલ ભરો આંદોલન
શહેરમાં ટુ વ્હિલ વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો નાછૂટકે સવિનય કાનૂન ભંગ કરી જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેમ રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર ડો.જિજ્ઞેશ એમ.જોષીએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને મનપામાં ટુ વ્હિલ ચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવાનો વિધાનસભામાં ઠરાવ પસાર કરી તાકીદે અમલ કરાવવા જણાવ્યું છે. સીસીટીવી કેમેરાના આધારે શહેરીજનોને મેમા આપી દંડ ફટકારવામાં આવે છે. મેટ્રોપોલિટન સિટીમાં જ આઇ વે પ્રોજેક્ટ અંતર્ગત વાહનચાલકોને મેમો મોકલી શકાય છે, ત્યારે રાજકોટ શહેર મેટ્રોપોલિટન સિટીમાં આવતું જ નથી. તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા મેમો ફટકારવામાં આવે છે. જેથી આ ગેરકાયદેસર વ્યવસ્થા તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગણી છે. શહેરના ટુ વ્હિલ ચાલકોને જો હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલન કરતા ખચકાશું નહીં તેમ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.