હિંમતનગર- ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાના એક ગામના યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં યુવકના પરિજનો લાશને બાજુના ગામની યુવતીના ઘરે મૂકી આવતા ગામમાં ભારેલા અગ્નિજેવી સ્થિતિ પેદા થઇ હતી. બાદમાં પોલીસ લાશને ખેડબ્રહ્મા સિવિલમાં લાવી સમજાવટના પ્રયાસો આદર્યા હતા. આ અંગે પોલીસે યુવતી વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. યુવક અને યુવતી બંને એક જ સમાજના હતા. યુવક છેલ્લા કેટલાય સમયથી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હોઇ હતાશ હોઇ ખેતરમાં ઝાડ પર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
ખેડબ્રહ્માના માતાજીકંપા નજીક સૂઇ બાવળના ખેતરમાં 25 જૂનના ના રોજ બપોરે નવાનાના ગામના સત્યમભાઇ મહેશભાઇ ખોખરીયાની લાશ લાલ કલરના દૂપટ્ટાથી સૂઇ બાવળના ઝાડ સાથે લટકેલી મળી અાવી હતી. જેની જાણ થતા મૃતકના પિતા, ભાઇ, મામા વગેરે બનાવના સ્થળ પર અાવ્યા હતા અને પોલીસે પંચનામુ વગેરે કરી લાશનો કબ્જો લઇ પીઅેમ વગેરે કરાવી યુવકે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યુ હોવાનો ગુન્હો દાખલ કરી લાશને પરિવારજનોને સોંપી હતી.
પરંતુ લાશને પરિવારજનોને સોંપ્યા બાદ પોલીસ સામે વિચિત્ર સ્થિતિ પેદા થઇ છે. મૃતકને બાજુના ગામની યુવતી સાથે પ્રેમ હોવાનુ અને તેને સંલગ્ન કારણોએ જ યુવકને જીવન ટૂંકાવવા મજબૂર કર્યો હોવાનુ માનીને ભારે અાક્રોશ સાથે લાશ લઇને યુવતીના ગામ પહોંચી ગયા હતા અને યુવકની લાશને યુવતીના ઘરમાં મૂકી દઇ હજી સુધી અગ્રિસંસ્કાર કર્યા નથી. યુવકની લાશ મૂકવા અાવી રહ્યાની જાણ થતા યુવતીના પરિવારજનો અન્યત્ર ખસી ગયા હતા. મામલો બીચકે તેમ લાગવાથી પોલીસે સમય સૂચકતા વાપરી લાશને ખેડબ્રહ્મા સિવિલમાં લાવી મૂકી છે અને બંને પરિવારોના ઘેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં અાવ્યો છે.