બિહારમાં જો કોઈ વ્યક્તિ કોઈ માગણી સાથે દેખાવો કરશે તો એમ કરવું તેના માટે મુસીબત બની શકે છે. નીતીશ કુમારની સરકારે એક નવું ફરમાન જારી કર્યું છે, જેમાં કહેવાયું છે કે જો રાજ્યમાં કોઈ સરકાર વિરુદ્ધ દેખાવો કરશે તો પોલીસ દ્વારા તેનું કેરેક્ટર સર્ટિફિકેટ ખરાબ કરવામાં આવી શકે છે.
વિરોધપ્રદર્શનમાં સામેલ થનારનું કેરેક્ટર સર્ટિફિકેટ બગડશે
ડીજીપી એસ. કે. સિંઘલ તરફથી જારી કરાયેલા આ ફરમાનમાં જણાવાયું છે કે સરકારી કોન્ટ્રેક્ટ, સરકારી નોકરી, હથિયારના લાઇસન્સ અને પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન આવશ્યક છે.
આ પત્રમાં ડીજીપી એસ. કે. સિંઘલે કહ્યું છે કે જો કોઈ રાજ્યમાં દેખાવો દરમિયાન ગુનાહિત ઘટનાને અંજામ આપે છે અને એમ કરવાથી જો પોલીસ દ્વારા તેની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે છે તો તેના વિશે સંબંધિત વ્યક્તિના કેરેક્ટર સર્ટિફિકેશનમાં આ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી બનશે.
બિહાર પોલીસ અનુસાર, જો કોઈ વ્યક્તિ કોઈ કાયદાની સ્થિતિ, દેખાવો, ટ્રાફિકજામ જેવી ઘટનાઓમાં સામેલ થઈને કોઈ ગુનાહિત કૃત્યમાં સામેલ થશે અને તેને આ કાર્ય માટે પોલીસ દ્વારા ચાર્જશીટ આપવામાં આવે છે તો તેના મામલે કેરેક્ટર સર્ટિફિકેટમાં તેની વિશિષ્ટ અને સ્પષ્ટ રીતે નોંધ હોવી જોઈએ. આવી વ્યક્તિઓએ ગંભીર પરિણામો માટે તૈયાર રહેવું પડશે.
મુખ્યમંત્રી કેટલા ડરી ગયેલા છેઃ તેજસ્વી
નીતીશ સરકારના આ તાજેતરના ફરમાન અંગે નેતા વિપક્ષ તેજસ્વી યાદવે તેમના પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે નીતીશ કુમાર પોતાના નિર્ણયો દ્વારા મુસોલિની અને હિટલરને પણ પડકારી રહ્યા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું, ‘મુસોલિની અને હિટલરને પડકારી રહેલા નીતીશ કુમાર કહે છે કે જો કોઈએ સત્તા વ્યવસ્થાની વિરુદ્ધ ધરણાં કે દેખાવો કરીને પોતાના લોકતાંત્રિક અધિકારનો પ્રયોગ કર્યો તો તેમને નોકરી નહીં મળે, એટલે કે નોકરી પણ નહીં આપે અને વિરોધ પણ નહીં કરવા દે. બિચારા 40 સીટના મુખ્યમંત્રી કેટલા ડરેલા છે.’