ગુજરાતમાં પેટા ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેવામાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું હતું. ઉમરગામના ધોળી પાડા ખાતે સરીગામ અને બાજુના ગામના 500 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
મહત્વની વાત એ છે કે, રાજ્યના આદિજાતિ મંત્રી રમણ પાટકરે ખેસ પહેરાવી કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યાં હતાં. કપરાડા વિધાન સભાની પેટા ચૂંટણી પહેલા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરીગામથી ધોડીપાડા સુધી એક વાહન રેલી પણ યોજી હતી. વાહન રેલી બાદ ધોડીપાડામાં યોજાયેલા કાર્યક્રમમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાં થયેલી ‘તોડફોડ’ જિલ્લા કૉંગ્રેસને મૂંઝવણમાં મૂકી શકે છે. કૉંગ્રેસમાં ભંગાણને કારણે જિલ્લાનો રાજકીય માહોલ પણ ગરમાયો છે.