દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચમાં લાલકિલ્લા પર ખૂબ હોબાળો થયો છે. અહીં ખેડૂતોને લાલકિલ્લામાંથી બહાર કાઢવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. ત્યારપછી ખેડૂતોએ ઉપદ્રવ અને તોડફોડ શરૂ કરી દીધી હતી. તણાવ વધતા દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી વધારે અફવા ન ફેલાય. હજી પણ ઘણાં પ્રદર્શનકારીઓ લાલકિલ્લામાં હાજર છે. બીજી બાજુ દિલ્હીની ખરાબ થતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે તેમના ઘરે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હી પોલીસ, ઈન્ટેલિજન્સ અને ગૃહમંત્રાલયના સિનિયર અધિકારીઓ સામેલ છે.
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચથી વાતાવરણ તંગ થઈ ગયું છે. ખેડૂતો બેરિકેડ્સ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા છે અને ત્યાં તેમણે ખાલસા પંથનો ઝંડો લહેરાવ્યો છે. ખેડૂતોનું એક ગ્રુપ ઈન્ડિયા ગેટ તરફ આગળ વધ્યું છે. લાલ કિલ્લા પર ચડાઈ કરી રહેલા ખેડૂતોને પોલીસે સમજાવટથી નીચે ઉતાર્યા છે. બીજી બાજુ ITO પાસે ટ્રેક્ટર પલટી થવાને કારણે એક ખેડૂતનું મોત થયું છે.
અપડેટ્સ…
સરકારે સિંધુ, ટીકરી, ગાઝીપુર બોર્ડરની સાથે મુકરબા ચોક અને નાંગલોઈ વિસ્તારમાં ઈન્ટરનેટ સર્વિસ આજે રાત્રે 12 વાગ્યા સુધી બંધ કરી દીધું છે. આ દરેક એવા પોઈન્ટ છે જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. બીજી બાજુ દિલ્હી મેટ્રો એડ્મિને ITO, દિલશાદ ગાર્ડન, ઝિલમિલ, માનસરોવર પાર્ક અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન બંધ કર્યા છે.
સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું છે કે, અમારા તમામ પ્રયત્નો છતા અમુક સંગઠનો અને લોકોએ રુટ તોડ્યો અને ખોટા કામમાં સામેલ થયા. પ્રદર્શનમાં અસામાજિક તત્વ ઘુસી આવ્યા, નહીં તો આંદોલન શાંતિ પૂર્ણ ચાલ્યું હોત. અમે હંમેશા શાંતિ જાળવી રાખી જે અમારી સૌથી મોટી તાકાત હતી અને તેના ઉલ્લંઘનથી આંદોલન નબળું થઈ શકે છે.
રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરાયું.
ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે, પરંતુ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા તેઓ ભડકી ગયા હતા. ખેડૂતોએ પોલીસના બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારપછી પોલીસે જે રૂટ આપ્યો હતો તે પણ ખેડૂતોએ ફોલો કર્યો નહીં. ખેડૂતોનો એક જથ્થો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. જ્યારે એક જથ્થો ઈન્ડિયા ગેટ પર આગળ વધી રહ્યો છે.