આજે વિજય દિન (કારગિલ) 26મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ.સ. 1999માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ આ દિવસને “કારગિલ વિજય દિવસ” તરીકે જાહેર કર્યો હતો અને સમગ્ર ભારત વાસીઓ માટે ગૌરવવંતો દિવસ હોવાથી વિવિધ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ અને સન્માન અપાતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ખાતે રહેતા શંભુભાઈ મિસ્ત્રી દ્વારા કારગીલ વિજય દિવસનું મોર્ડન આર્ટનું એક મોમેન્ટો બનાવવામાં આવ્યું હતુ.
વિજય દિવસની અલગ અલગ છબીઓ પોતાની કળા દ્વારા કોતરણી કરીને મોમેન્ટોમાં વિરોની વિજય ગાથા દર્શાવવામાં આવી છે. આ મોમેન્ટોમાં લાકડા એ.સી.પી. અને પી.વી.સી.નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ છબિઓ બનાવવા માટે તેમને દસ દિવસ જેટલો સમય લાગ્યો હતો.
ભારતે નિયંત્રણ રેખાના ભારતીય બાજુ પર પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી બળવાખોરો દ્વારા કારગિલ સેક્ટરમાં ઘુસણખોરીને સાફ કરવા ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું, યુદ્ધ 60 દિવસથી વધુ સમય સુધી લડાયું હતું અને આખરે 26 જુલાઇના રોજ ભારતના વીર સપૂતોના પરાક્રમના લીધે પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનને જાનમાલનું ભારે નુકસાન થયું હતુ. છેલ્લે 26 જુલાઇ, 1999ના રોજ, ભારતે વિરતાપૂર્વક ઉચ્ચ ચોકીઓને પાછી મેળવવામાં સફળતા હાંસીલ કરી હતી અને પાકિસ્તાનના ઘૂસણખોરો હારી ગયા હતા.
આ તમામ બાબતોને મોમેન્ટો દ્વારા પોતાની કૃતિમાં સમાવીને પોતાની કલા દ્વારા શહીદો તેમજ વીર સૈનિકોને સન્માન આપવાના હેતુથી ધ્રાંગધ્રાના યુવાન દ્વારા પોતાની કલાકૃતિ અને દેશભક્તીથી દર્શાવતા કલા અને દેશદાઝનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, શમ્ભુભાઈ દ્વારા અગાઉ “વિશ્વ યોગ દિવસ”, “વિશ્વ ચકલી દિવસ ” સહિત લોકોને જાગૃતિ અને પ્રેરણા મળે એવી અનેક વેસ્ટમાંથી બેસ્ટ સહિતની કૃતિઓ બનાવી ચુક્યા છે.