રાજસ્થાનમાં સાટા પદ્ધતિને કારણે એક મહિલાનું મૃત્યુ થયા પછી એક કુપ્રથાને કારણે એક મહિલાનો જીવ જતા-જતા બચ્યો છે. ઘટના મધ્યપ્રદેશના ગુના જિલ્લાની છે. અહીં ઝઘડા પ્રથાને લીધે એક યુવકે પોતાની પત્નીને જ વેચી મારી. યુવક ખરીદનારાઓ પાસેથી પહેલેથી જ 50 હજાર એડવાન્સ લઇ ચૂક્યો હતો. પત્નીને તેમને સોંપી દેતાં તેને બીજા રૂપિયા મળવાના હતા. જ્યારે પત્નીએ ખરીદનારાઓ સાથે જવાની ના પાડી તો તેનો જીવ લેવાની કોશિશ પણ કરવામાં આવી છે. સાસુ-સસરા અને પતિએ તેને કૂવામાં ફેંકી દીધી હતી. ગામના ચોકીદારે તેનો જીવ બચાવ્યો હતો. યુવતીના પિતા પોલીસ લઇને ગામ પહોંચ્યા ત્યારે તેનો જીવ બચ્યો.
ગુનાના મૃગવાસ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામ સગોરિયાની આ ઘટના છે. યુવતીનું પિયર ચાંચોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામ કુલમ્બેમાં છે. તેના લગ્ન નાનપણમાં જ સગોરિયાના રહેવાસી ગોપાલ ગુર્જર સાથે કરવામાં આવ્યા હતા. 5 વર્ષ પહેલા તેના 18 વર્ષ પૂરાં થતાં સાસરે પહોંચી હતી. બધું જ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું.
મહિલાએ જણાવ્યું હતું કે મંગળવારની રાત્રે 12 વાગ્યાની આસપાસ તેના પતિને મળવા 3 લોકો આવેલા, જેને તે ઓળખતી નહોતી. પતિએ યુવતીને કહ્યું હતું કે તું આમની સાથે જતી રે. આ વાતમાં ઝઘડો વધતાં બંને રૂમમાં જઇને સૂઇ ગયા. યુવતીએ જણાવ્યું કે તેના પતિએ બુધવારે સવારે તેને ખેતરમાં જવાનું કહ્યું હતું. તે ખેચર પર પહોંચી તો ત્યાં 3 અજાણી વ્યક્તિ મળી અને તેને જોડે આવવા કહેવા લાગ્યા. ખેતરમાં સાસુ-સસરા અને તેનો નફ્ફટ પતિ પણ પહોંચ્યાં. તે ત્રણે જણે કહ્યું, તારે આમના સાથે જવું જ પડશે.
કૂવામાં ફેંકી દીધી, ગામવાસીઓએ બચાવી, 4 દિવસ સુધી બંધક બનાવી રાખી
મહિલાએ જણાવ્યું હતું કે પતિના ખેતર પાસે જ એક બીજું ખેતર છે. એ ખેતરના કૂવામાં તેનાં પતિ, સાસુ-સસરાએ તેને નાખી દીધી હતી. આ બધું ચોકીદાર અને તેની પત્ની જોઇ ગયા, તેમણે મહિલાને કૂવામાંથી બહાર કાઢી હતી. ગામના રહેવાસીઓ તેમના ઘરે સમજાવા ગયા હતા. તો તેમને પણ ધમકીઓ આપવામાં આવી અને મહિલાને ઘરની બહાર ના નીકળવા દીધી. મહિલાના પિતા નારાયણ ગુર્જરે જણાવ્યું હતું કે ગામની એક વ્યક્તિએ ફોન પર મને પુત્રીની સાથે બનેલી આ ઘટના વિશે જાણકારી આપી હતી. એ પછી તેના પિતા મૃગવાસ પોલીસ સ્ટેશનથી પોલીસ લઇને પહોંચ્યા, ત્યારે મહિલાને છૂટી કરવામાં આવી. પોલીસના પહોંચવા પર પતિ ભાગી ગયો હતો. આ ઘટનાને લઈ યુવતીએ રવિવારે પોલીસમાં સાસરાવાળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પતિ ગોપાલ ગુર્જર, સસરા રામદયાલ ગુર્જર અને સાસુ રામેતી બાઇના વિરોધમાં ફરિયાદ નોંધી છે.
ઝઘડા પ્રથા આ ઘટનાનું કારણ
મહિલાને વેચવા પાછળ ઝઘડાની પ્રથાની વાત સામે આવી રહી છે. રાજગઢ અને ગુનાના કેટલાક વિસ્તારોમાં આજે પણ આ પરંપરા ચાલુ છે. જ્યારે પરિણીત સ્ત્રી તેના પતિને છોડીને જાય છે ત્યારે પતિને તેનાથી સારામાં સારી રકમ મળે છે. મહિલાઓ આ પ્રથાની આડમાં વેચાય છે. મૃગવાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સી.પી. દીક્ષિતે જણાવ્યું હતું કે મહિલાએ અરજી કરી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં બહાર આવેલાં તથ્યો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.