સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું નાગરીકોએ કડકાઈથી પાલન કરવું પડે છે અને જો નાગરિક સરકારના નિયમોનું પાલન ન કરે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ શું સરકારના અમુક વિભાગોને નિયમોનું પાલન કરવામાંથી છૂટ આપવામાં આવે છે? આ કહેવાનું કારણ એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈ-વે પર ફાસ્ટેગની સિસ્ટમ ફરજીયા કરી દેવામાં આવી છે. સરકારની જાહેરાત પછી સરકાર પાસે કરોડો વાહનોમાં ફાસ્ટેગ લાગવાની સુવિધા ન હોવાના કારણે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધીની મુદ્દત વધારવામાં આવી છે.
રાજ્યના તમામ સરકારી વિભાગને ખબર હતી કે, 1 ડિસેમ્બરથી ફાસ્ટેગના નિયમનું અમલીકરણ કરવામાં આવનાર છે, છતાં પણ રાજ્યના ST વિભાગ દ્વારા બસમાં ફાસ્ટેગ લગાવવામાં આવ્યા નથી. ઘણી ST ટોલનાકા પરથી કેસમાં પૈસા આપીને રસીદ લે છે. જો જનતા કોઈ નિયમનું ઉલ્લંઘન કરે તો તેમને તાત્કાલિક સજા કરવામાં આવે છે, પણ સરકારી વિભાગમાં નિયમો તોડવાની શા માટે છૂટ આપવામાં આવે છે તે હજુ સુધી ખબર પડી નથી.
આ તો થઇ ફાસ્ટેગની વાત પણ ટ્રાફિકના નિયમ અનુસાર સીટ બેલ્ટ બાંધ્યા વગર કાર, બસ કે, ટ્રક ચલાવી શકાય નહીં પણ રાજ્યના ST વિભાગ પાસે ઘણી એવી બસ છે કે, જેમાં સીટ બેલ્ટ જ નથી અને મહત્ત્વની વાત એ છે કે, ઘણી બસોના કિલોમીટર પુરા થઇ ગયા હોવા છતાં પણ તેને બેફામ રીતે રસ્તા પર દોડાવવામાં આવે છે.
ગુજરાતમાં સાત હજાર જેટલી ST બસ દોડે છે, પણ મોટા ભાગની બસોમાં ફાસ્ટેગ લગાવવામાં આવ્યા નથી અને બીજી તરફ ફાસ્ટેગની મુદ્દત લંબાવવામાં આવી છે. આ પરથી સવાલ એ થાય છે કે, ST વિભાગની કે, સરકારના અન્ય વિભાગના વાહનોમાં ફાસ્ટેગ લગાવવામાં આવ્યા નથી એટલા માટે મુદ્દત વધારાઈ છે કે, પછી જનતાની સુવિધા માટે વધારવામાં આવી છે?
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમોનું અમલીકરણ કર્યા પછી જ્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક કેબીનેટ બેઠક મળી હતી ત્યારે બેઠકમાં હાજરી આપવા માટે આવતા ઉચ્ચ સરકારી અધિકારીઓની કારના ડ્રાઈવરો જ સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવતા જોવા મળ્યા હતા અને હવે આવું ફાસ્ટેગમાં જોવા મળી રહ્યું છે. સરકારે નિયમ બનાવ્યો પણ ST બસમાં ફાસ્ટેગ લગાવવામાં જ નથી આવ્યા.