સુરતમાં કોરોના કહેરમાં મહત્તમ અંશે રાહત મળી છે. કોવિડ આઈસોલેશન સેન્ટર યથાવત રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે. હાલ આઈસોલેશન સેન્ટરમાંથી તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી હોવા છતાં આ સેન્ટરોને સાવ બંધ ન કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ સેન્ટર યથાવત રાખવામાં આવ્યાં છે.
સામાજિક સંસ્થાઓએ સેન્ટર શરૂ કરેલા
ગુજરાતમાં એક સમય એવો હતો કે, સુરતમાં સતત કોરોના દર્દી સમયે આવી રહ્યા હતાં ત્યારે સામાજિક સંસ્થાઓ અને નગરસેવકોથી લઈને ધારાસભ્યો સહિતનાએ આઈસોલેશન સેન્ટર શરૂ કર્યા હતાં. જેમાં હોસ્પિટલ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. જેથી હોસ્પિટલ પર બર્ડન ઓછું થયું હતુ અને આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી. બીજી લહેર ઘાતક હતી ત્યારે સેન્ટર બહુ ઉપયોગી થયા હતાં.
ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યથાવત રખાશે
કોરોનાની પ્રથમ લહેર બાદ આઈસોલેશન સેન્ટર બંધ કરી દીધા બાદ બીજી લહેરમાં તાત્કાલિક ઉભા કરતી વખતે સેન્ટર શરૂ કરવામાં ચાર પાંચ દિવસનો સમય લાગ્યો હતો. જેથી ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઈસોલેશન સેન્ટરમાં યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને જ્યારે જરૂરીયાત પડે તો તાત્કાલિક બધુ એકઠું કરવા માટે દોડાદોડી ન રહે અને સમય વ્યતિત ન થાય અને લોકોના જીવ બચાવવામાં સરળતા અને વધુ સફળતા મળે.