ઈસ્લામાબાદ, તા. 5 ઓગસ્ટ 2019 સોમવાર
ભારતની સરકારે જમ્મુ કશ્મીરમાં લેવા માંડેલા આકરા પગલાંથી અકળાયેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આજે સોમવારે સવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને તેમની મદદ માગી હતી.
ઇમરાને અમેરિકી પ્રમુખને એમ કહ્યું હોવાનું મનાય છે કે ભારતે કશ્મીરમાં પગલાં લેવા માટે ખોટો સમય પસંદ કર્યો હતો.છેલ્લાં પચીસેક વર્ષથી સતત ભારતમાં જમ્મુ કશ્મીર માર્ગે આતંકવાદીઓ ઘુસાડતા પાકિસ્તાનને હાલની મોદી સરકારના પગલાંથી અકળામણનો અનુભવ થયો હતો.
ઇમરાન ખાને પાકિસ્તાનના ટોચના સનદી અમલદારોની બેઠક પણ બોલાવી હતી અને આ મુદ્દે શું થઇ શકે એની ચર્ચા વિચારણા શરૂ કરી હતી. ભારતીય ગુપ્તચર સેવાને એવી બાતમી મળી હતી કે પાકિસ્તાનના પીઠબળ સાથે આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર ત્રાટકવાના હતા. પરંતુ આવું કંઇ બને એ પહેલાં હાલની એેનડીએ સરકારે અમરનાથ યાત્રા વૈષ્ણોદેવી યાત્રા અને માછિલ યાત્રા અટકાવી દઇને કશ્મીરમાં ભારે લશ્કરી કુમક રવાના કરી હતી.
શિક્ષણ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં 144મી કલમ લાગુ પાડીને સભા-સરઘસબંધી જાહેર કરી દીધી હતી. આવાં આકરાં પગલાંથી પાકિસ્તાન અકળાઇ ગયું હતું.