ન્યુઝ ડેસ્ક, સી.એન. 24, અમદાવાદ
19 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક જ પરિવારના 3 લોકો પર હુમલો થયો હતો. હુમલો કરનારા ઇસમો ચપ્પુ જેવા હથિયાર વડે 3 વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને પગેલ લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ઓઢવ પોલીસને થતા પોલીસકર્મીઓ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને ભોગ બનનાર પરિવારની ફરિયાદ નોંધીને અજાણ્યા ઇસમોની શોધખોળ શરૂ કરી હતી.
ભોગ બનનાર પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના સમયમાં ચાર જેટલા ઇસમોની ધરપકડ કરી હતી અને મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસના હાથે પકડાયેલા ચારેય ઇસમોના નામ મનોજ ચુનારા, હેમેન્દ્ર ચુનારા, અશોક ઘાંચી અને ભાવેશ ઠાકોર છે. પોલીસે આરોપીઓનું પુછપરછ કરતા આ કેસમાં એક નવો વળાંક આવ્યો હતો અને આ હુમલો પ્રેમ પ્રકરણમાં થયો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આ ચારેય આરોપી પાસેથી હુમલામાં વપરાયેલ ચપ્પુ પણ કબજે કર્યું છે.
પોલીસને જાણવા મળ્યું હતું કે, ભોગબનનાર પરિવારની દીકરીને પપ્પુ નામના શખ્સ સાથે પ્રેમ સંબધ હતો. યુવક અને યુવતી લગ્ન કરવા ઈચ્છાતા હતા પરંતુ યુવતીના પરિવારજનો લગ્ન માટે રાજી ન હતા. આ વાતની અદાવત રાખીને પ્રેમીએ તેના મિત્રો સાથે મળીને પ્રેમિકાના પરિવારજનો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.