ગુજરાતમાં ફરી બદલીનો દૌર શરુ થયો છે. હાલ કોરોના કેસ ઘટતાં જ રાજ્યના વહિવટી તંત્રમાં ધરમૂળથી ફેરફાર થયા છે. જેમાં આજે 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેથી રાજકોટ જિલ્લામાં કલેકટર,ડી.ડી.ઓ. અને મ્યુ.કમિશનર સહિતના ટોચના અધિકારીઓની બદલી થઈ છે. આધિકારીઓએ કોરોના અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. હવે તેમના સ્થાને નવા ચહેરા આવશે જેમણે આવનારી ચૂંટણી અને ત્રીજી લહેરની સાથે શહેરના વહીવટી તંત્રને સાંભળવાનું છે. હજુ આગામી દિવસો પોલીસ બેડાં બદલી આવશે જેમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી થવાની શક્યતા સેવાઈ રહી છે.
નવા કલેકટર તરીકે અરુણ મહેશ બાબુની નિમણુંક
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં રાજકોટનેં બચાવવા મ્યુ.કમિશનર,કલેકટર, ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓએ સારી મહેનત કરી હતી હવે નવા ચેહરા સામે આ કામગીરી પડકાર બનીને આવશે. પહેલા રાજકોટમાં કલેક્ટર પદે રેમ્યા મોહન હતા. હવે નવા કલેક્ટર તરીકે અરુણ મહેશ બાબુની નિમણુંક થઈ છે, મ્યુનિસિપલ કમિશનર તરીકે ઉદિત અગ્રવાલ હતા હવે નવા મ્યુ.કમિશનર તરીકે અમિત અરોરાની નિમણુંક થઈ છે.
પોલીસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા
ડી.ડી.ઓ. તરીકે પહેલા અનિલ રાણાવાસીયા હતા. હવે નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરીની નિમણુંક થઈ છે. PGVCLના MD તરીકે પહેલા શ્વેતા તેવતિયા હતા હવે નવા MD તરીકે ધીમંતકુમાર વ્યાસની નિમણૂક થઈ છે. આ ઉપરાંત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આશિષ કુમાર અને મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર રાજકોટ તરીકે વરુણકુમાર બરણવાલની નિમણુંક કરાઈ છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નજીકના ભવિષ્યમાં રાજ્યના અન્ય શહેરોના પોલીસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા સેવાઇ રહી છે.