માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે નાના બાળકો અને મહિલા પર એસિડ એટેકની ઘટના બની હતી. કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યા બાદ વહેલી સવારે બારીમાંથી એસિડ ફેકયું હતું. જેમાં પાંચ અને આઠ વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ પર દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા તેઓન દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેક થતા બંને બાળકીના ચહેરા અત્યારે બગડી ગયા છે.
મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા…
મહેંદીકુવા વિસ્તારમાં આવેલી કંચનબેનની ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. લક્ષ્મીબેનએ મકાન છ વર્ષ પહેલાં તેમના કાકા સસરા મોહનભાઇ દંતાણી પાસેથી રૂ. ત્રણ લાખમાં ખરીદ્યું હતું. મકાન ખરીદી લીધું હોવા છતાં તેમના પુત્ર અજય અને વિજય આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા. દરમ્યાનમાં મુંબઈથી લક્ષ્મીબેનના બહેન બનેવી આવ્યા હતા. તમામ લોકો ઘરમાં સુતા હતા ત્યારે અજય દંતાણી વહેલી સવારે પાંચ વાગ્યે આવ્યો હતો. મકાનની બારી ખુલ્લી હતી તેમાંથી બૂમ પાડી કહ્યું હતું કે મકાન કેમ ખાલી નથી કરતા તમે કેવી રીતે રહો છો. તેમ કહી હાથમાં રહેલો એસિડનો ડબ્બો ઉંચો કરી અંદર એસિડ ફેકયું હતું.
કૌટુંબિક ઝઘડામાં બંને બાળકીઓને ચહેરા બગડ્યા હતા
લક્ષ્મીબેન, તેમની પાંચ અને આઠ વર્ષની દીકરી તેમજ 10 વર્ષના દીકરા પર એસિડ ઉડયું હતું. તમામના ચહેરા પર એસિડ ઉડતા તેઓ દાઝી ગયા હતા. બે નાની છોકરીઓના ચહેરા પર એસિડ વધુ ઉડતા તેઓના ચહેરા ખરાબ થઈ ગયા હતા. કૌટુંબિક ઝઘડામાં બંને બાળકીઓને ચહેરા બગડ્યા હતા. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માધવપુરા પોલીસે આ મામલે હત્યા પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. જો કે હજી સુધી એકપણ આરોપીની પોલીસ ધરપકડ કરી શકી નથી.