પટણા તા.30 ઓગસ્ટ 2019 શુક્રવાર
પટણા હાઇકોર્ટના એક સિનિયર જજ રાકેશ કુમાર સામે ખુદ હાઇકોર્ટે એવો આદેશ આપ્યો છે કે તમારે કોઇ કેસની સુનાવણી કરવી નહીં કે ચુકાદો આપવો નહીં.
ચોંકાવનારી આ ઘટનાના મૂળ એવા છે કે બુધવારે એક કેસનો ચુકાદો આપતાં જસ્ટિસ રાકેશ કુમારે જાહેરમાં કહ્યું હતું કે પટણા હાઇકોર્ટમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આથી હાઇકોર્ટ ડઘાઇ ગઇ હતી અને હાઇકોર્ટના 11 જજોની બનેલી બેન્ચે રાકેશ કુમારના કામકાજ પર તત્કાળ પ્રતિબંધ લાદી દીધો હતો.
રાકેશ કુમાર આટલેથી અટક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે નીચલી અદાલતોમાં તો છડેચોક ભ્રષ્ટાચાર પ્રવર્તે છે અને ભ્રષ્ટ અધિકારીઓને પ્રમોશન મળે છે. પટણા હાઇકોર્ટમાં જાતિવાદ અને ભ્રષ્ટાચાર ચિંતા થાય એટલી હદે વ્યાપી ગયા છે. હાઇકોર્ટના અન્ય જજોએ આ નિરીક્ષણ સામે ગંભીર વાંધો લીધો હતો અને રાકેશ કુમારની જજ તરીકેની કામગીરી તત્કાળ અટકાવી દીધી હતી