શહેરના પાંડેસરા કૈલાશ ચોકડી નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમીને ચપ્પુના 5 ઘા મારી પતાવી દીધો હોવાનો બનાવ પોલોસ ચોપડે નોંધાયો છે. મરનાર બ્રિજેશ એક મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. વતનમાં પ્રેમ થયા બાદ યુવતી સુરતમાં હોવાની જાણ બાદ બ્રિજેશ સુરત આવ્યો હતો. રોડ ઉપર લોહીના ખાબોચીયામાં પડેલા ઇજાગ્રસ્ત બ્રિજેશને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગીમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પ્રેમી સહિત 20 લોકોનું ટોળું ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી ભાગી ગયું
વિજય કહાર (મરનારનો મિત્ર) એ જણાવ્યું હતું કે બ્રિજેશ રામનયન રાજભર (ઉ.વ. 22, રહે. ઉધના BRC,પ્રભુ નગર) એમ્બ્રોડરીના ખાતામાં હેલ્પર તરીકે કામ કરતો હતો. મૂળ અઝામગઢનો રહેવાસી હતો. એક મહિના પહેલા જ સુરત આવ્યો હતો. કોઈ છોકરીને લઈ ચાલતા ઝઘડામાં રવિવારની રાત્રે બ્રિજેશને ફોન પર હુમલાખોરો ધમકી આપી મળવા બોલાવતા હતા. જેને લઈ બ્રિજેશ કૈલાશ ચોકડી પર મળવા જતા જ તેની પર રોહિત નામના યુવક સહિત 20 લોકોનું ટોળું ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી ભાગી ગયું હતું. ઇજાગ્રસ્ત બ્રિજેશને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા અને વહેલી સવારે બ્રિજેશનું મોત નીપજ્યું હતું.
હત્યાના ઈરાદે જ યુવકને બોલાવી હત્યા કરી
વધુમાં ઉમેર્યું હતું કે, વતનમાં રહેતી યુવતી સાથે બ્રિજેશને પ્રેમ થઈ ગયો હતો. યુવતી સુરત આવી ગયા બાદ બ્રિજેશ સુરત આવ્યો હતો. જોકે, યુવતી બે છોકરા સાથે પ્રેમ કરતી હતી. આ વાતની ખબર પડતાં બીજા પ્રેમી રોહિતે હત્યાના ઇરાદે જ બ્રિજેશને કૈલાશ ચોકડી બોલાવ્યો હતો. બ્રિજેશને છાતીના ભાગે ઉપરા ઉપરી 5-6 ઘા મરાયા હતા. ઓપરેશન બાદ બ્રિજેશનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજતા જ પોલીસ દોડી આવી હતી. બ્રિજેશના પિતાના અવસાન બાદ એક ભાઈ અને માતાને આર્થિક રીતે મદદ કરવા બ્રિજેશ સુરત આવ્યો હતો.