મુંબઈઃ રીષિ કપૂર તથા નીતુ સિંહના લગ્નને 38 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. તેઓ ઓન-સ્ક્રીન તથા ઓફ-સ્ક્રીન ફેવરિટ જોડીઓમાંથી એક છે. તેમણે અનેક ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. હાલમાં જ નીતુ સિંહે અનુ કપૂર સાથે રેડિયો શોમાં રીષિ સાથેની પહેલી મુલાકાત તથા તેમના સંબંધો અંગે વાત કરી હતી.
શું કહ્યું નીતુએ?
1. પહેલી મુલાકાત ભયંકર રહી હતી
નીતુ કપૂરે કહ્યું હતું, ‘રીષિ કપૂર સાથેની પહેલી મુલાકાત ઘણી જ ભંયકર રહી હતી. તેને તમામની મજાક કરવાની ટેવ હતી. તેથી જ તે મારા મેક-અપ તથા કપડાંની મજાક ઉડાવતો હતો. મને આ વાતનો ઘણો જ ગુસ્સો આવતો હતો. ખરી રીતે તો તે વધુ પડતો મોઢે ચઢાવેલો હતો અને દરેકની મજાક ઉડાવતો હતો. તે સમયે હું ઘણી જ યુવાન હતી અને મને તેની વાત ગમતી નહોતી.’
2. સૌથી યંગ એક્ટ્રેસ હું જ હતી
વધુમાં નીતુએ કહ્યું હતું, ‘બોબી’ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ બાદ ડિમ્પલે લગ્ન કરી લીધા હતાં અને રિષી અન્ય એક્ટ્રેસિસની સામે ઘણો જ નાનો લાગતો હતો. તે સમયે માત્ર હું એક યુવાન એક્ટ્રેસ હતી. ફિલ્મ ‘રિક્ષાવાલા’ બાદ અમે ઘણી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું.’
3. નીતુએ કહ્યું, લગ્ન માટે છોકરો પણ જોઈએ
નીતુ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે કઈ ક્ષણે નક્કી કર્યું કે હવે બાકીનું જીવન રીષિ કપૂર સાથે પસાર કરવું છે? તેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘તે ચોક્કસ ક્ષણ તો યાદ નથી પરંતુ હું ધડાધડ ફિલ્મ્સ સાઈન કરતી હતી. મારામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. મારી માતા મને લઈ ઘણી જ સચેત રહેતી હતી. હું જ્યારે પણ રીષિ સાથે ડિનર પર જતી ત્યારે મારી કઝિન લવલીને સાથે જ મોકલતી. અમે ત્રણ વર્ષ સુધી આ રીતે મળતા હતાં. મેં તે સમયે ‘નસીબ’, ‘શાન’ તથા અન્ય ચારથી પાંચ બિગ બજેટ ફિલ્મ્સ સાઈન કરી હતી. ત્યારે રીષિજીએ મને પૂછ્યું હતું, ‘તે તો બહુ બધી ફિલ્મ્સ સાઈન કરી છે, તારે લગ્ન નથી કરવા?’ મને ખ્યાલ જ નહોતો કે તે લગ્ન અંગે વિચાર છે. તેણે ક્યારેય આવીને કહ્યું નહોતું કે તે લગ્ન કરવા ઈચ્છે છે. અમે માત્ર એકબીજાને ડેટ કરતાં હતાં. તેથી જ મેં ઘણી જ સહજતાથી જવાબ આપ્યો હતો કે લગ્ન કરવા માટે છોકરો પણ જોઈએ. જેના જવાબમાં રીષિજીએ કહ્યું હતું, ‘તો હું કોણ છું?’
4. ફિલ્મ્સની સાઈનિંગ અમાઉન્ટ પરત મોકલી
વધુમાં નીતુએ કહ્યું હતું, ‘મેં જે ફિલ્મ્સ સાઈન કરી હતી તે તમામ ફિલ્મ્સની સાઈનિંગ અમાઉન્ટ પરત મોકલી દીધી હતી. આ સિવાય જે ફિલ્મ્સનું કામ બાકી હતું તે તમામને કહી દીધું હતું કે ઝડપથી કામ પૂરું કરો. એક વર્ષની અંદર મેં તમામ અધૂરા પ્રોજેક્ટ્સ પૂરા કર્યાં હતાં. એવું નથી કે લગ્ન પછી મહિલા કામ ના કરી શકે પરંતુ હું 15 વર્ષ સુધી સતત કામ કરીને થાકી ગઈ હતી. મારે એક સિમ્પલ લાઈફ જોઈતી હતી અને તેથી જ મેં લગ્ન બાદ કામ ના કરવાનું નક્કી કર્યું હતું.’
5. હાલમાં ન્યૂયોર્કમાં
20 જાન્યુઆરી, 1980માં રીષિ કપૂર તથા નીતુ સિંહે લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરી રિદ્ધિમા તથા દીકરો રણબીર કપૂર છે. દીકરીના લગ્ન દિલ્હીના બિઝનેસમેન ભરત કુમાર સાહની સાથે થયા છે. રીષિ કપૂરને ગયા વર્ષે કેન્સરનું નિદાન થતાં તેઓ પત્ની નીતુ સાથે ન્યૂયોર્ક ગયા હતાં. હાલમાં તેઓ કેન્સર ફ્રી થઈ ગયા છે.