વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત થયા પછી લગભગ 3 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ફરી વળાંક આવી શકે છે. રાજ્યને લગતા પ્રશ્નો પર આંતરિક ઉચ્ચ કક્ષાની બેઠકો ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા સપ્તાહે 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક માટે પક્ષના તમામ સભ્યોને માહિતી મોકલવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા રાજકીય ગતિવિધિ સિવાય કેન્દ્રશાસિત રાજ્યને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થવાની આશા છે.
રાજ્યમાં ચૂંટણી 2018થી યોજાઈ નથી. ત્યારે મહેબૂબા મુફ્તિની પાર્ટી PDP અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું હતું. આ દરમિયાન ગુપકાર જૂથે કેન્દ્ર સરકાર સાથેની વાટાઘાટો અંગે નરમ વલણના સંકેત પણ આપ્યા હતા.
શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, મનોજ સિંહાને પણ મળ્યા
આ અગાઉ અમિત શાહે શુક્રવારે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજી હતી. એમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા, ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) ડિરેક્ટર અરવિંદ કુમાર, રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ (RAW)ના વડા સામંત કુમાર ગોયલ, CRPFના ડિરેક્ટર જનરલ કુલદીપ સિંહ અને જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે સામેલ થયા હતા.
આ બેઠક પૂર્વે અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરી હતી. બંને બેઠકને જમ્મુ-કાશ્મીર માટે મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.
ઓગસ્ટ 2019માં નાબૂદ કરી દીધી કલમ 370
તેમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 નાબૂદ કરી દીધી હતી. આ સાથે જ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ- કાશ્મીર અને લદાખમાં વિભાજન કરવામાં આવ્યું છે.
આ નિર્ણય પહેલાં જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તિ, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા સહિત ઘણા મોટા નેતાઓને ઘરે નજરકેદ કરવામાં આવ્યા હતા. જોકે મહિનાઓ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.