અમદાવાદ: મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે આ વર્ષે સૌથી મોટી 17 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢવામાં આવશે. પ્રથમ વખત જ આ રથયાત્રાના રૂટ પર ભગવાનના રથ માટે 1 લાખ સાડી પાથરવામાં આવશે. મહેમદાવાદ તાલુકાની આસપાસના 72થી વધુ ગામડાં આ રથયાત્રામાં ભાગ લેશે. રથયાત્રાના રૂટ પર પાથરવામાં આવનારી સાડી લોકોના ઘરે ઘરેથી એકત્ર કરાઈ છે. થોડા સમય પૂર્વે અહીં અર્બુદા દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ સમયે ભક્તોએ માતાજીને 10 હજાર સાડી અર્પણ કરી હતી. રથયાત્રાની સાથે સાથે માતાજી પણ નગરચર્યા માટે નીકળવાના હોવાથી રથ જ્યાં જ્યાં ફરશે ત્યાં રોડ પર સાડી પાથરવામાં આવશે. રથયાત્રાના દિવસે 5 હજારથી વધુ શ્રદ્ધાળુ માટે ભંડારો પણ યોજાશે. ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતના જણાવ્યા આનુસાર આ યાત્રામાં પ્રસાદ તરીકે 1200 કિલો જાંબુ- અને મગનું વિતરણ કરાશે. યાત્રામાં 50થી વધુ રથ પણ જોડાશે.
પહેલી વાર રથયાત્રામાં આદિવાસી નૃત્ય દેખાશે: આ રથયાત્રામાં 5 લાખથી વધુ ધજા-પતાખા રાખવામાં આવશે.તેમ જ 5થી વધુ ડીજે જોડાશે.સાથે સાથે પહેલીવાર સિદ્ધિવિનાયક મંદિર ખાતે આદિવાસી નૃત્યનું આયોજન કરવામાં આવશે, આ નૃત્ય માટે ડાંગ વિસ્તારના આશરે 150 લોકો સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આવશે.તેમ જ 25થી વધુ ભજન મંડળીઓ આ રથ યાત્રામાં જોડાશે.સાથે સાથે મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા જે રથને સારી રીતે શણગાર કરવામાં આવ્યો હશે તેને ઇનામ આપવામાં આવશે.
દર્શને આવનારા નવદંપતીને પ્રસાદી તરીકે સાડીનું દાન કરાશે: સિદ્ધિ વિનાયક મંદિરની રથયાત્રામાં પાથરવામાં આવનારી 1 લાખ સાડી જેતપુરથી મંગાવવામાં આવી છે. રથયાત્રાની પૂર્ણાહુતિ પછી મંદિરમાં દર્શને આવનારા નવદંપતીને દાન કરવામાં આવશે. રવિવારે કરવામાં આવેલા રિહર્સલ દરમિયાન 17 કિલોમીટરના રૂટ પર અંદાજે 50 હજાર સાડી પાથરવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં અર્બુદા દેવીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ભક્તોએ અંદાજે 10 હજાર સાડીનું દાન કર્યું હતું. રથયાત્રાના માર્ગ પર પાથરવામાં આવનારી 1 લાખ સાડીમાં આ 10 હજાર સાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રથયાત્રાની વિશેષતા એ છે કે, મહેમદાવાદ તાલુકાના આજુબાજુના ગામોના લોકો વિવિધ વેશભૂષા પણ ધારણ કરશે. લગભગ 72 ગામના લોકો તેમજ સેંકડો ભક્તો આ રથયાત્રામાં ભાગ લેશે.