જેતલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યા મામલે પરિવારજનોને સાંત્વના આપવા રાજ્ય મંત્રી જયેશ રાદડિયા દોડી આવ્યા હતા. તેમની સાથે રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા, જેતપુરના ડીવાયએસપી સાગર બાગમાર સહિતનો પોલીસ કાફલો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. મૃતક તરુણીના ઘર પાસે પત્રકારોને માહિતી આપતા જયેશ રાદડિયાએ કહ્યું કે સૃષ્ટિ મારી દીકરી સમાન છે તેવું માનીને હત્યા કેસની તપાસ શરુ કરાવી છે.
મૃતક સૃષ્ટીની ફાઇલ તસવીર
ફાસ્ટટ્રેકમાં કેસ ચલાવવા સરકારની મંજૂરી
તેમને કહ્યું કે હાલ આ બનાવની તપાસ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને સોંપી છે. હત્યા કેસ બાબતે તમારું શું કહેવું છે ? તેવા પ્રશ્નના સવાલમાં તેમણે કહ્યું કે, દીકરીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પીપી નીમશે. તેમાંજ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા સરકારે મંજૂરી પણ આપી દીધી છે. તે સિવાય ગઈકાલે જ ગાંધીનગર ખાતે રૂબરૂ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા.
દીકરીની તસવીર હાથમાં રાખી માતા રડી પડ્યા.
દર 15 દિવસે ગાંધીનગરમાં કેસનું થશે મોનિટરિંગ
કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે આ કેસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દર 15 દિવસે મોનિટરિંગ કરી જરૂરી સૂચના-માર્ગદર્શન આપશે.
હત્યામાં પોતે એકલો જ હોવાનું આરોપીનું રટણ
જેતપુર પોલીસ સ્ટાફે આરોપી જયેશ પાસેથી વધુ વિગતો મેળવવા કવાયત આદરી છે. રિમાન્ડના બીજા દિવસે જયેશ બનાવમાં પોતે એકલો જ હોવાની કેસેટ વગાડતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પરિવારને આર્થિક મદદ કરવા માટે મંત્રીએ તૈયારી બતાવી
મંત્રી રાદડિયાએ સૃષ્ટિના પરિવારને સાંત્વના આપી હતી. આ તકે તેમને પરિવારજનોને કહ્યું હતું કે આજે અને ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ આર્થિક સહયોગની જરૂર પડે તો સાદ પાડજો, તેઓ આ માટે તૈયાર રહેશે.