જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ભારે ધમાલ મચી છે. ટોળાએ રેલીમાં હુમલો કરતા સ્થિતિ તંગ બની છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન અનેક વાહનોને પણ નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓએ સ્થળ પર દોડી આવીને કાર્યવાહી કરી છે. પોલીસે સ્થિતિને કાબુ કરવા માટે ટોળા પર ટીયર ગેસના સેલ છોડ્યા છે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સે હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે, તો બીજીતરફ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે.
પોલીસે જણાવ્યું કે, મારમારીમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણને વધુ ઈજા થઈ હોવાથી સારી સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાને ધ્યાને રાખી વિવિધ કાયદાકીય કલમો હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. હાલ આ મામલે કોઈપણની ધરપકડ કરવામાં આવી નથી.
નેશનલ કોન્ફરન્સ (National Conference) ધારાસભ્ય નજીર અહમદ ખાને રેલીમાં હુમલો કરવા પાછળ ભાજપના કાર્યકર્તાઓ અને હરીફ ભાજપના નેતા ફકીર મોહમ્મદ ખાનના સંબંધીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપે જાણીજોઈને રેલીને નિશાન બનાવ્યું છે અને તેમનો સમર્થકોના હુમલાના કારણે અનેક લોકોને ઈજા થઈ છે. બીજીતરફ ભાજપ નેતાએ પણ ધારાસભ્યના આક્ષેપોનો વડતો જવાબ આપ્યો છે.
ભાજપ નેતા ફકીર મોહમ્મદ ખાના પુત્ર અને તુલૈલાના ડીડીસી એજાજ અહમદ ખાને ધારાસભ્ય નજીર ખાનના આક્ષેપોનો પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘રેલીમાં આવેલા સમર્થકોએ ભાજપના કાર્યકર્તાઓના ઘરો પર પથ્થર મારો કર્યો છે, જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. અમારા કાર્યકર્તાઓને પણ ઈજા થઈ છે અને અનેક ઘરોને નુકસાન થયું છે.’ આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.