ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ બુધવારે સંસદમાં કહ્યું કે પુલવામા હુમલો ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા ન હતી. સંસદમાં રેડ્ડીને પૂછવામાં આવ્યું હતું કે શું પુલવામા હુમલો ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતાને કારણે થયો હતો? આ અંગે રેડ્ડીએ કહ્યું કે- જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં ત્રણ દશકાથી આતંકવાદે માથું ઉંચક્યું છે. ત્યાં ટેરર ફંડિંગ અને આતંકને સમર્થન સરહદ પારથી મળે છે. જો કે અમે આતંક વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યાં છીએ. આ કારણથી જ સિક્યોરિટી ફોર્સે છેલ્લાં કેટલાંક વર્ષમાં મોટા પ્રમાણમાં આતંકીઓનો ખાત્મો કર્યો છે.
એજન્સી ઘણું સારું કામ કરે છે- રેડ્ડીઃ રેડ્ડીએ કહ્યું કે, તમામ એજન્સીઓ યોગ્ય તાલમેલ સાથે કામ કરે છે. ગુપ્તચર એજન્સી યોગ્ય સમયે તમામ એજન્સીઓની સાથે જાણકારીઓની આપલે કરે છે. પુલવામા હુમલામાં NIAની તપાસ બાદ હુમલાખોર, ગાડી આપનાર અને ષડયંત્ર કરનારાંઓના નામ ખુલ્યાં હતા.
પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતાઃ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકીઓએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી. જે બાદ 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાં પર એર સ્ટ્રાઈક કરી હતી.
જમ્મુ-શ્રીનગર હાઈવે પર હુમલો થયો હતોઃ હુમલો થયો તે સમયે CRPFના 2500 જવાનો એક સ્થાનથી બીજા સ્થાને જઈ રહ્યાં હતા. આ દરમિયાન એક ફિદાયીન બારૂદ સાથે ભરેલી ગાડી લઈને જમ્મુ-શ્રીનગર હાઈવે પર જઈ રહેલાં કાફલામાં ઘૂસી ગયો હતો.