સુરતના અગ્નિકાંડના બનાવ બાદ જામનગરમાં મહાનગરપાલિકાએ સુરતના અગ્નિકાંડના બનાવ બાદ ખાનગી શાળા,ટયુશન કલાસ,હોટલ,રેસ્ટોરન્ટને ફાયર સેફટી મુદે નોટીસ ફટકારી છે, પરંતુ શહેરના નાગનાથ ગેઇટ નજીક આવેલા 56 શાળાઓના 9500 બાળકોના મધ્યાહન ભોજન માટેના સરકારી રસોડામાં ફાયર સેફટીના કોઇ સાધનો નથી. અહીં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.15 કે જેમાં 350 બાળકો અભ્યાસ કરે છે તે શાળામાં તૂટેલા અને મુદત વીતી ગયેલા એટલે કે એકસપાઇરી ડેઇટવાળા ફાયરસેફટીના સાધનો હોય પોલંમપોલ બહાર આવી છે. સુરતના બનાવ બાદ ખાનગી શાળાઓ,કલાસીસ,હોટલ,રેસ્ટોરન્ટને ફાયર સેફટી મુદે નોટીસ ફટકારવામાં પાવરધું તંત્ર સરકારી શાળા અને રસોડા પ્રત્યે ઉદાસીન હોય આ માટે જવાબદાર કોણ તે સવાલ સાથે તંત્રની ઉદાસિન કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.
શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ, સાધનો એક્સપાયરી ડેટના
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 1 થી 60 નંબર પૈકી 45 જેટલી શાળા કાર્યરત છે.પરંતુ મોટાભાગની શાળાઓમાં ફાયર સેફટીના સાધનો એકસ્પાઇરી ડેઇટ વીતી ગયેલા અને રીફીલ કરાવ્યા વગરના હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આ માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠયો છે.
2-3 દિવસમાં સાધનો ફિટ થઇ જશે
 56 સરકારી શાળાના બાળકો માટે તૈયાર થતાં મધ્યાહન ભોજનના રસોડા માટે ફાયર સેફટીના સાધનો મંગાવામાં આવ્યા છે. આ સાધનો આવી ગયા છે અને બે-ત્રણ દિવસમાં ફીટ કરવામાં આવશે.એ.કે.પરમાર,મામલતદાર,જામનગર
7 વર્ષ પહેલાં સાધનો ફાળવ્યાં હતાં
 શાળા નં.15 માં ફાયર સેફટીના ફાયર એકસ્ટીગ્યુશર સાધનોની સાતેક વર્ષ પહેલાં મનપાએ ફાળવણી કરી હતી.સાધનો એકસ્પાયરી ડેઇટના અને રીફીલ કરાવ્યા ન હોય જે શાળાની ખામી છે.દોલત આહુજા,આચાર્ય,શાળા નં.15