જામનગર શહેરમાં કોરોના કાળ દરમિયાન મોક્ષ ફાઉન્ડેશનના નેજા હેઠળ અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી અદભુત સેવા આપનારા મોક્ષ ફાઉન્ડેશનના પ્રમુખ વિક્રમસિંહ ઝાલા આજે કોરોના સંક્રમિત બન્યા છે, અને તબીબોએ જરૂરી દવા આપીને તેઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
જામનગરની મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મહાનગરપાલિકા સાથે એમ.ઓ.યુ. કરીને કોરોના ના કારણે મૃત્યુ પામેલા દર્દીઓ ના અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી લેવામાં આવી હતી, અને જામનગર શહેર અને જિલ્લામાં કુલ 1068 થી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જેમાં કેટલાક પોઝિટિવ દર્દીઓ હતા, જ્યારે કેટલાક દર્દીઓના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે.
પરંતુ મોક્ષ ફાઉન્ડેશન દ્વારા આદર્શ હિંદુ સ્મશાન તેમજ મોક્ષ મંદિર સહિતના સ્મશાન ઘાટમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યારે મુસ્લિમ સમાજના મૃત દર્દીઓની જુદા જુદા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. ઉપરાંત ક્રિશ્ચન સમાજના દર્દીઓના મૃત્યુની પણ દફનવિધિ ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જે તમામ પ્રક્રિયામાં મોક્ષ ફાઉન્ડેશનના પ્રમુખ વિક્રમસિંહ ઝાલા અને તેમની ટીમના હિતેશ ગોસાઈ અને બસીર ભાઈ વગેરે જોડાયા હતા. જેઓની એક વર્ષ ની સેવા પછી વિક્રમસિંહ જાડેજા આજે કોરોના ગ્રસ્ત બની ગયા છે, અને જીજી હોસ્પિટલના તબીબો દ્વારા તેઓની જરૂરી સારવાર કર્યા પછી હોમ આઇસોલેશનમાં મૂકી દેવાયા છે, અને તેઓના ઘરમાં સારવાર ચાલી રહી છે. તેઓ કોરોના સંક્રમિત હોવાથી મોક્ષ ફાઉન્ડેશનના અન્ય સભ્યોમાં ચિંતા પ્રસરી છે.