આણંદઃ બોરસદ તાલુકાના જંત્રાલ ગામે પરણીતા બેભાન થઈ જતા તેનો પતિ તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેના પગલે પરિણીતાનો પતિ તેના મૃતદેહને ઘરે બિનવારસી છોડી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવ અંગે પરિણીતાના માતા અને ભાઈને જાણ થતા તેઓએ પોલીસ મથકમાં જાણ કરી હતી. જે સંદર્ભે પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતકને આડા સંબંધના વ્હેમમાં કોઈ બોથડ પદાર્થ વડે માથા અને ગુપ્ત ભાગે માર માર્યો હોવાનું ખૂલ્યું હતું. આ મામલે હાલમાં પોલીસે ફરાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ખંભાત તાલુકાના વટાદરા ગામે રહેતા મંજુલાબેન રાયસીંગભાઈ ચુનારાની 21 વર્ષીય પુત્રી ભાવનાબેનના લગ્ન ચાર વર્ષ અગાઉ સમાજના રીતિ-રિવાજ મુજબ બોરસદ તાલુકાના જંત્રાલ ગામે રહેતા અરવિંદભાઈ પૂનમભાઈ ચુનારા સાથે થયા હતા. તેમને ત્રણ સંતાન છે. ગત અઠવાડિયે બુધવારે મધરાત્રે દોઢ કલાકે ભાવનાબેન અચાનક બેભાન થઈ ગયા હતા. જેને પગલે તેનો પતિ અરવિંદ બેભાન હાલતમાં બોરસદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેથી તે મૃતદેહને લઈને પોતાના ઘરે પરત આવ્યો હતો.
મૃતદેહને બિનવારસી છોડી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ ગામમાં રહેતા એક અગ્રણી મારફતે મૃતકના માતા અને ભાઈને થતાં જ તેઓ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા. અને સમગ્ર મૃતકનો પતિ તેના પર વ્હેમાતો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ હોસ્પિટલમાં પેનલ પીએમમાં પણ મૃતકને માથા અને ગુપ્ત ભાગે ઈજા પહોંચી હોવાનું ખૂલ્યું હતું. આ ઈજા કોઈ બોથડ પદાર્થથી કરાઈ હોવાનું પ્રાથમિક તારણમાં ખૂલ્યું છે.