ભુવનેશ્વરઃ ઓરિસ્સાની તીર્થ નગરી પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શરૂ થશે. યાત્રાની તમામ તૈયારીઓ પુરી કરી દેવાઈ છે. આ સાથે જ સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે ભગવાન જગન્નાથને રથ પર સવાર કરવામાં આવશે અને ભવ્ય યાત્રા સાથે જગન્નાથ ભગવાન પોતાની માસીના ઘરે જવા માટે રવાના થશે. ભગવાન જગન્નાથના માસીનું ઘર ગુંડિચા દેવીનું મંદિર છે. જ્યાં શ્રી જગન્નાથ ભગવાન દર સપ્તાહે રહેવા માટે જાય છે. આજના દિવસે ઘણા રિતી રિવાજો બાદ રથ ખેંચવાનું પવિત્ર કાર્ય સાંજે 4 વાગે શરૂ કરવામાં આવશે.
સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થાઃ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના ત્રણેય રથ તૈયાર થઈ ચુક્યા છે અને તેમને પૂજા માટે તેમના પાવન સ્થાને પહોંચતા કરવામાં આવ્યા છે. દુનિયાભરથી જગન્નાથના ભક્તો તેમનો રથ ખેંચવા માટે કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ ઉપરાંચ 142મી ભગવાન જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી કેમેરા અને ડ્રોનથી તમામ ગતિવિધીઓ પર નજર રખાઈ રહી છે.
પુરી રથયાત્રા માટે ખાસ પ્રકારે વેબસાઈટ શરૂ કરાઈ છેઃ ઓરિસ્સાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિર પ્રશાસને વાર્ષિક રથયાત્રા પહેલા મંદિરની પરંપરાઓ, તેમના મહત્વ અને કાર્યક્રમોની સૂચનાઓ વાળી એક વેબસાઈટ શરૂ કરી છે. મંગળવારે આ વેબસાઈટને સેવકો અને ગણમાન્ય લોકોની હાજરમાં લોન્ચ કરવામાં આવી હતી.