રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખૂટી રહ્યાં છે, ત્યારે અમદાવાદના GMDC ખાતે આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં DRDO દ્વારા 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. શાહના મત વિસ્તાર એવા નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, સાણંદ, બોપલ, ઘુમા, દસક્રોઈ સહિત વિસ્તારમાં લોકોને આરોગ્ય સેવા માટે અતિઆધુનિક ઓન વ્હીલ્સ બે લેબોરેટરી વાન અને 8 એમ્બ્યુલન્સ પણ લોકો માટે ફાળવવામાં આવશે.
ઓન વ્હીલ્સ લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થશે
ઓન વ્હીલ્સ લેબોરેટરી વાનમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર,બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. આ લેબોરેટરીવાનમાં RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ પણ આપી શકાશે. એક ICU ઓન વ્હીલ્સ પણ ફાળવવામાં આવી છે. ICU ઓન વ્હીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. આવતીકાલે 24 એપ્રિલના રોજ DRDO હોસ્પિટલ અને આ લેબોરેટરી વાન તેમજ એમ્બ્યુલન્સ લોકો માટે શરૂ કરવામાં આવશે.
900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ
અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.
દર્દીઓ માટે હોસ્પિટલમાં સુવિધાઓ
900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટિકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
સંચાલનની જવાબદારી અંજુ શર્માને સોંપાઈ
ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આ હોસ્પિટલ ઊભી થઈ ગઈ છે, જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.