20 વર્ષ પહેલા આજના દિવસે 26 જૂલાઇ 1999એ ભારતે કારગિલ યૂધ્ધમાં વિજય મેળવ્યો હતો. આ દિવસને દર વર્ષે વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંદાજે બે મહિના સુધી ચાલેલા કારગિલ યુધ્ધમાં ભારતીય સેનાએ સાહસનું એવું ઉદાહરણ આપ્યું જેના પર દેશવાસીઓને ગર્વ છે.
કારગિલ યુધ્ધની મુખ્યવાત
- 20 વર્ષ પહેલા આજના દિવસે ભારતે કારગિલ યુધ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો
- આ યુધ્ધમાં ભારતના 527થી વધારે જવાનો શહીદ થયા હતા, 1300થી વધારે ઘાયલ થયા હતા
- પાકિસ્તાને આ યુધ્ધની શરૂઆત 3 મે, 1999ના રોજ કરી હતી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કારગિલ વિજય દિવસ પર સેનાની ધૈર્ય અને વીરતાને સલામ કર્યાં છે. અંદાજે 18 હજાર ફૂટની ઉંચાઇ પર કારગિલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં દેશના 527થી વધારે વીર જવાનો શહીદ થયાં હતા. જ્યારે અન્ય 1300 જેટલા ઘાયલ થયા હતા.
આમ તો પાકિસ્તાને આ યુધ્ધની શરૂઆત 3 મે 1999થી કરી દીધી હતી જ્યારે કારગિલની ઉંચાઇની પહાડીઓ પર 5000 જેટલા સૈનિકોએ ધૂસણખોરી કરી કબ્જો કરી લીધો હતો. આ અંગેની જાણકારી જ્યારે ભારત સરકારને મળી તો ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈનિકોને હટાવવા ઓપરેશન વિજય ચલાવ્યું હતું.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુધ્ધ મિગ-27 અને મિગ-29નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ જ્યાં પાકિસ્તાને કબ્જો કર્યો હતો ત્યાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ સિવાય મિગ-29ની મદદથી પાકિસ્તાનના કેટલાંક ઠેકાણાં પર આર-77 મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ યુધ્ધમાં મોટી સંખ્યામાં રોકેટ અને બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દરમિયાન અંદાજે બે લાખ પચ્ચાસ હજાર ગોળાબારૂદથી હુમલો કરાયો. જ્યારે 5000 બોમ્બ ફાયર કરવા માટે 300થી વધારે મોર્ટાર, તોપ અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરાયો. યુધ્ધના 17 દિવસમાં દરરોજ પ્રતિ મિનિટ એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. એવું માનવામાં આવે છે કે બીજા વિશ્વયુધ્ધ બાદ આ એક યુધ્ધ એવું હતું જેમાં દુશ્મન દેશની સેના પર આટલી મોટી માત્રામાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર દ્રાસમાં કારગિલ યુદ્ધના સ્મારકની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1999ના કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા સેનાના જવાનોને શ્રધ્ધાંજલી આપશે.