અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘરવાપસી પછી સમગ્ર મધ્ય એશિયા અને ખાસ કરીને ભારત-પાકિસ્તાનના સંબંધમાં મોટા ફેરફાર થઈ શકે છે. આ બંને દેશના સંબંધમાં પ્રત્યક્ષ નહીં, તો અપ્રત્યક્ષ રીતે પણ અમેરિકાની ભૂમિકા મહત્ત્વની રહી છે. કારગિલ યુદ્ધ વખતે ભારતીય સેનાની અસામાન્ય હિંમતથી ગભરાયેલા પાકિસ્તાનના ઈરાદા પર અમેરિકાના કડક વલણે પણ ઘણી અસર કરી હતી. આવું કહેવું છે, 30 વર્ષ સુધી અમેરિકાના રાજદૂત રહેલા ટેરેસિટા શેફરનું. શેફર શ્રીલંકાના રાજદૂત પણ રહી ચૂક્યા છે. તેઓ ભારત-પાકિસ્તાન સંબંધના નિષ્ણાત મનાય છે.
મને સારી રીતે યાદ છે 4 જુલાઈ, 1999નો એ દિવસ. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનને મળવા આવ્યા હતા. તેઓ કારગિલ યુદ્ધમાં અમેરિકાની મદદ ઈચ્છતા હતા. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસ મનાવાય છે અને આશ્ચર્યની વાત છે કે, ક્લિન્ટને એ અડધો દિવસ શરીફ સાથે વીતાવ્યો હતો. શરીફ ઈચ્છતા હતા કે, અમેરિકા તેમની મદદ કરે. ક્લિન્ટને સ્પષ્ટ કહ્યું હતું કે, પહેલા પાકિસ્તાને કારગિલમાંથી સૈનિકો હટાવવા પડશે અને પછી જ કોઈ વાતચીત થશે. આ દરમિયાન ભારતીય સેનાની કડકાઈથી પાકિસ્તાનનું મનોબળ, લગભગ પહેલેથી જ તૂટી ગયું હતું.
અમેરિકાના પૂર્વ રાજદૂત રહેલા ટેરેસિટા શેફરની તસવીર
અમેરિકા સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, ક્યાંક આ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ના પરિવર્તિત થઈ જાય. કારગિલ યુદ્ધ વખતે હું એક થિંક ટેન્ક માટે કામ કરતી હતી. એટલે મારે વિદેશ વિભાગ સાથે સતત સંપર્કમાં રહેવું પડતું હતું. તત્કાલીન પાકિસ્તાની રાજદૂતે મને પૂછ્યું હતું કે, શરીફ સાથે બેઠક પછી અમેરિકન પ્રેસ નોટ શું કહે છે. મેં કહ્યું કે, અર્થ ફક્ત એટલો જ છે કે, પાકિસ્તાને કોઈ શરત વિના એલઓસીથી પાછળ હટવું પડશે. પાકિસ્તાન ચક્તિ હતું કે, અમેરિકાએ સાથ ના આપ્યો, જ્યારે ભારત એટલે ચક્તિ હતું કે અમેરિકા તથ્યોના આધારે પાકિસ્તાનની વિરુદ્ધ હતું.
પરિણામે શરીફ અને જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચેનો તણાવ પણ ચરમસીમાએ હતો. આશ્ચર્ય તો મને પણ થયું, જ્યારે પાકિસ્તાન ફોરેન ઓફિસના ઉચ્ચ અધિકારીએ મને કહ્યું કે, શરીફને પણ કારગિલ યુદ્ધ વિશે પૂરતી માહિતી નહોતી અપાઈ કારણ કે, મામલો સંવેદનશીલ હતો. પછી અમને ખબર પડી કે, શરીફ પોતાના પરિવાર સાથે અમેરિકા આવી રહ્યા છે. ત્યારે અમને સમજતા વાર ના ગારી કે, અમેરિકાનો સાથ નહીં મળવાથી શરીફને ખુરશી ગુમાવવાનો ડર છે. તેમનો ડર સાચો સાબિત થયો. પાકિસ્તાન છોડી દીધા પછી તેમનો પરિવાર સુરક્ષિત હતો, પરંતુ મુશર્રફે નવાઝને કેદ કરી લીધા હતા.
ક્લિન્ટન વાજપેયીને ફોન પર બેઠકના સમાચાર આપતા હતા
પાકિસ્તાનના હવાલાથી સમાચાર હતા કે, શરીફ છ દિવસ ચીનમાં રહેશે. અમને બધાને આશ્ચર્ય થયું કે, યુદ્ધ વચ્ચે શરીફ છ દિવસ ચીનમાં શું કરશે. ચીને પણ પાકિસ્તાનની મદદ ના કરી. છેવટે શરીફની ચીન યાત્રાનો દોઢ દિવસમાં અંત આવ્યો. પછી તેઓ અમેરિકા આવ્યા. ભારત, ચીન, યુરોપ બધા વાજપેયીના પક્ષમાં હતા. તેમનું કહેવું હતું કે, ભારત સીઝફાયર ત્યારે જ કરશે, જ્યારે પાકિસ્તાની સેના પાછળ હટશે. શરીફ સાથે થતી વાતચીત દરમિયાન પણ ક્લિન્ટન વાજપેયીને ફોન પર સમાચાર આપતા. છેવટે 26 જુલાઈ સુધી પાકિસ્તાનનો દરેક સૈનિક ભારત છોડી ચૂક્યો હતો. તેની અસર એ હતી કે, મુશર્રફે શરીફને કેદ કરીને સત્તા આંચકી લીધી હતી. કારગિલ યુદ્ધનું પરિણામ એ આવ્યું કે, ભારત-અમેરિકાના સંબંધ વધુ મજબૂત થયા. આજે અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં નથી. તે અફઘાનિસ્તાન જ નહીં, પાકિસ્તાન માટે પણ સંકટનો સમય છે.