રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગઈકાલે 92 વર્ષની વયે નિધન થયું હતું. ત્યારે સાંસદ અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર સુબ્રહ્મણ્યન સ્વામીએ કેશુભાઈ પટેલને સન્માન આપવાની માગ કરી છે. ટ્વિટર પર ટ્વીટ કરીને તેમણે ગુજરાત સરકારે કેશુભાઈ પટેલને તેમના યોગદાન બદલ તેમના સ્મરણ માટે કોઈ એક યુનિવર્સિટીને તેમનું નામ આપવા માગ કરી છે.
Gujarat government should honour the contribution of Swargiya Keshubhai Patel by naming an Agricultural University in his memory
— Subramanian Swamy (@Swamy39) October 30, 2020
ગાંધીનગરસ્થિત ઘરેથી બાપાની અંતિમયાત્રા નીકળી હતી
ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને સવારે શ્વસા લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે ડોક્ટરોએ આપેલી ટ્રીટમેન્ટ કારગત નીવડી ન હતી અને બાપાએ દુનિયાને અલવિદા કરી હતી,. મધ્યાહનની આસપાસ જ 11-55એ તેમનું નિધન થયું હતું. ત્યાર બાદ તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવાયો હતો, જ્યાં રાજકીય નેતાઓ, કાર્યકરો સહિતના લોકોએ અંતિમ દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ સાંજે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
વિસાવદરમાં બાપાનો જન્મ થયો હતો
‘બાપા’ તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 24 જુલાઈ 1928એ થયો હતો. તેમનું નિધન 29 ઓક્ટોબર 2020ના રોજ થયું હતું. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે અમદાવાદના ડોન લતીફને તેના હોમગ્રાઉન્ડ એવી પોપટિયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રીપદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. જ્યારે અંગત જીવનમાં પણ તેઓ આ આઘાત પચાવી ગયા હતા. પહેલાં પત્ની અને છેલ્લાં ત્રણ વર્ષમાં બે દીકરા પણ ગુમાવ્યાં હતાં.