મહારાષ્ટ્રમા કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉછાળો આવી રહ્યો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાની બીજી લહેર રોકવા માટે લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે.
મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે કડક લોકડાઉન લાગુ કરાયું છે. બીડમાં ૨૬ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે જ્યારે પરભણીમાં ૨૪ માર્ચથી પહેલી એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયું છે.
ઔરંગાબાદમા રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ તેમજ શનિવાર રવિવારે લોકડાઉન જાહેર કરાયું છે. લાતુરમાં રાત્રે આઠથી સવારે પાંચ વાગ્યા વચ્ચે કડક લોકડાઉન જાહેર કરાયું છે. જાલનામાં સવારે ૯થી સાંજે સાત વચ્ચે જ બજાર ખોલવાની પરવાનગી અપાઇ છે.
ઉસ્માનાબાદમાં રાત્રે કર્ફ્યુ લાગુ કરાયો છે. સાંજે સાતથી સવારે પાંચ વાગ્યા સુધી તેમજ દરેક રવિવારે કર્ફ્યુ લાગુ કરાયો છે.
હિંગોલીમાં પણ સાંજે સાતથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુની ઘોષણા કરાઇ છે. આ બધા આદેશોને જોતા હવે અહીંના લોકોમાં ફરી ૨૦૨૦ જેવા લોકડાઉનનું પુનરાવર્તન થશે કે કેમ તેવી ભીતિ નિર્માણ થઇ છે.