ગોંદિયાના નાગઝિરા અભયારણ્ય તથા પિટેઝરી જંગલ વિસ્તારમાં ગઈકાલે રાત ભીષણ આગ લાગતા ત્રણ મજૂરના મોત થયા હતા. જ્યારે બે જણ ગંભીરપણે દાઝી ગયા હતા. અજાણ્યા શખસે આગ લગાડી હોવાની શંકા છે. પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.
અહીં ગઈકાલે બપોરે આગ ભભૂકી હતી. આ વિસ્તારમાં કામ કરતા અંદાજે ૫૦ મજૂરે આગ બૂઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ગઈકાલે સાંજ પછી સૂસવાટાભર્યા પવનને લીધે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.
જંગલમાં આગની વચ્ચેના પરિસરમાં પાંચ મજૂર ફસાઈ ગયા હતા. તેઓ બહાર આવી શક્યા નહોતા. જેને લીધે રાકેશ મડાવી (ઉં.વ.૪૦), રેખચંદ રાણે (ઉં.વ.૪૫), સચિન શ્રીરંગે (ઉં.વ.૨૭)નું મોત નિપજ્યું હતું. જ્યારે વિજય મરસ્કોલ્હે (ઉં.વ.૪૦), રાજુ અયામ (ઉં.વ.૩૦)ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ તમામ મજૂરો સડક અર્જુની તાલુકાના કોસમતોંડી, થાડેઝરી, બોળૂંદાના રહેવાસી હતા. આ બનાવને લીધે ગામના લોકોમાં શોકની છાયા ફરી વળી હતી. વનવિભાગના અધિકારીની કામગીરી બદલ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.